ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો

ભાવનગર, રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવી રહ્યા છે. રોજ કોઈને કોઈ શહેરમાં એકાદ વ્યક્તિ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવી રહી છે. છતા તંત્ર દ્વારા માત્ર કામગીરીનો જાણે ડોળ કરવામાં આવે છે. ભાવનગર વધુ એક વ્યક્તિએ રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવ્યો છે. શહેરના નારી-ચોકડી સીદસર રોડ પર રખડતા ઢોરની અડફેટે એક વ્યક્તિનું મોત થયુ છે. બાઈક પર જઈ રહેલા ધનજી ઘોરીને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. તેમના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

રખડતા ઢોરને કારણે શહેરમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યા અંગે નક્કર કામગીરી થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.