અમદાવાદ, જૂનાગઢ ના પોલીસ કર્મીના રહસ્યમય મોતના મામલામાં પોરબંદર ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલાની તપાસનુ સુપરવિઝન પોરબંદર એસપીને સોંપવામાં આવ્યુ છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી સામે તપાસ હોય અને તેમની જ સમકક્ષ કક્ષાના ડીવાયએસપી તપાસ સંભાળી રહ્યા છે, જેને લઈ હાઈકોર્ટે જૂનાગઢ રેન્જ આઈજીને લઈ ટકોર કરી છે.
ગુજરાત હાઈકોર્ટમાં મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પહોંચ્યા હતા અને જેને લઈ હાઈકોર્ટે તપાસને લઈ સવાલ ઉઠાવ્યા હતા. જૂનાગઢ રેન્જ આઈજીને આ અંગેની જાણકારી છે કે કેમ તેવો પણ સવાલ કર્યો હતો. પોરબંદર એસપીને તપાસનુ સુપરવિઝન સોંપવામાં આવ્યુ છે. હવે આ ઘટનાની તપાસ પર સીધી દેખરેખ પોરબંદર એસપી રાખશે. હાલમાં તપાસ પોરબંદર ડીવાયએસપી નિલમ ગોસ્વામી કરી રહ્યા છે. તેઓએ આ મામલામાં તપાસ કાર્યવાહી તેજ બનાવી હતી, પરંતુ સમકક્ષ અધિકારીની તપાસ સોંપવાને લઈ જૂનાગઢ રેન્જ આઇજી સામે સવાલ સર્જાયા હતા. આમ હવે નિષ્પક્ષ તપાસને લઈ એસપી કક્ષાએ સુપરવિઝન સોંપવામાં આવ્યુ છે.