હપાકાંતનગર, મ્યાનમારમાં એક ખાણમાં ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં ૨૫ લોકોના મોત થયા છે. ત્યારે ૧૪ લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર, ઈમરજન્સી સેવાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ગુમ થયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મુશળધાર વરસાદ અને પૂરના કારણે રવિવારે કાચિન પ્રાંતના હપાકાંત નગરની બહાર જેડ ખાણમાં ભૂસ્ખલન થયું હતું. આ સ્થાન મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનથી લગભગ ૯૫૦ કિલોમીટર (૬૦૦ માઇલ) ઉત્તરમાં આવેલું છે.રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્તાર વિશ્ર્વની સૌથી મોટી અને આકર્ષક જેડ ખાણોનું કેન્દ્ર છે.
આ અકસ્માત બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ બચાવ અભિયાન દરમિયાન ૨૫ મૃતદેહો મળી આવ્યા હતા. આ સિવાય ૧૪ લોકો હજુ પણ ગુમ છે. આ ઓપરેશન સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે તેમને બહાર કાઢવા માટે બુધવારે એટલે કે આજે પણ બચાવ અભિયાન ચાલુ રહેશે.
મળતી માહિતી મુજબ, ખાણકામ દરમિયાન વરસાદના કારણે ૫૦૦થી ૬૦૦ ફૂટ ઉંચો માટીનો ઢગલો ધરાશાયી થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખરાબ હવામાનને કારણે ખાણનું કામ સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે અહીં એકઠા થયેલા લોકો કાદવમાં કંઈક મળવાની આશા રાખતા હતા. આ દરમિયાન આ લોકો ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા.