મહીસાગર જીલ્લાના સરકારી વસાહત દિવડા કોલોની ખાતે પુસ્તકાલય શુભારંભ કાર્યક્રમ યોજાયો

  • આપણા જીવનના સારા મિત્રો એ આ પુસ્તકો છે- શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર.

મહીસાગર,હરસિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોધરા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય શુભારંભ કાર્યક્રમ સરકારી વસાહત દિવડા કોલોની ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો.કુબેર ભાઈ ડિંડોર અને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારી રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, આપણા જીવનના સારા મિત્રો એ આ પુસ્તકો છે અને પુસ્તકો દ્વારા જીવનમાં સાચો માર્ગ મળી રહે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે જનરલ નોલેજ ને પણ મહત્વ આપી દેશમાં ચાલતી ગતિવિધિઓની રોજબરોજની જાણકારી રાખવી જરૂરી છે.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારી રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, હરસિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ આ પુસ્તકાલય ખૂબ ઉપયોગી નીવડશે અને આજના બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે માટે બાળકોની સાચી કેળવણી ખૂબ જરૂરી છે.

આ પ્રસંગે હરસિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ કલ્યાણસિંહ પુવાર, તાલુકા પંચાયત પ્રમુખ, કો.મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પ્રમુખ સાવલી બાર એસોસિયેશન સતનકુમાર પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.