મની લોન્ડરિંગમાં દોષિત ઠેરવવાનો દર ૯૩ ટકાથી વધુ, ૧૬૫૦૭ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત

નવીદિલ્હી, ભારત સરકારે સંસદમાં જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ છેલ્લા નવ વર્ષમાં મની લોન્ડરિંગના કેસમાં ૯૩ ટકાથી વધુ દોષિત ઠર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોક્સભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૧૩ જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં ૨૫ ટકાથી વધુ જગ્યાઓ ખાલી હતી. તેમના નિવેદન મુજબ, ઈડી પાસે ૨,૦૭૫ કર્મચારીઓની મંજૂર સંખ્યા છે અને તેમાંથી, ૧,૫૪૨ પોસ્ટ્સ હાલમાં કાર્યરત છે.

છેલ્લા નવ વર્ષમાં મની લોન્ડરિંગના કેસોમાં ઈડીના દોષિત ઠરાવના દર અંગેના પ્રશ્ર્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષો દરમિયાન મની લોન્ડરિંગ નિવારણ કાયદાના ૩૧ કેસોમાં ટ્રાયલ પૂર્ણ થઈ છે, જેના પરિણામે ૨૯ કેસોમાં ૫૪ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આમ, આજની તારીખે,પીએમએલએ હેઠળ દોષિત ઠેરવવાનો દર ૯૩.૫૪ ટકા છે. મંત્રીએ જણાવ્યું હતું કે કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તપાસ કરાયેલા પ્રિડિકેટ અપરાધોને રદ કરવાને કારણે પીએમએલએ હેઠળની કાર્યવાહી આગળ વધી શકી નથી.

સૈનિક શાળાઓમાં ભણતી છોકરીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશની ૩૩ પરંપરાગત લશ્કરી શાળાઓમાં ૧૨૯૯ વિદ્યાર્થીનીઓ ઔપચારિક શિક્ષણની સાથે ભવિષ્યના સૈનિક બનવા માટે માનસિક અને શારીરિક કૌશલ્યો શીખી રહી છે. આટલું જ નહીં, સંરક્ષણ મંત્રાલય અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીવાળી સૈનિક શાળાઓમાં પણ વિદ્યાર્થીનીઓની સંખ્યા ૩૦૩ પર પહોંચી ગઈ છે. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પરંપરાગત લશ્કરી શાળાઓમાં બિહારની ગોપાલગંજની શાળામાં સૌથી વધુ ૬૧ વિદ્યાર્થીનીઓ છે.

ઉત્તર પ્રદેશના અમેઠીમાં ૩૧ છોકરીઓ, ઝાંસીમાં ૨૭ અને મૈનપુરીમાં ૨૪ જ્યારે હરિયાણાના રેવાડીમાં ૩૪ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. બીજી તરફ, ગુજરાતના જૂનાગઢમાં આવેલી શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર શાળામાં ભાગીદારી મોડમાં ખોલવામાં આવેલી સૈનિક શાળાઓમાં સૌથી વધુ ૪૦ વિદ્યાર્થીનીઓ છે. હરિયાણાના ફતેહાબાદમાં આવેલી રોયલ ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલમાં આ કેટેગરીમાં ૩૪ વિદ્યાર્થીનીઓ છે. તમામ સૈનિક શાળાઓમાં પ્રવેશ પરીક્ષા દ્વારા આપવામાં આવે છે અને તમામ શાળાઓ બોર્ડિંગ છે.

નાણા મંત્રાલયે કહ્યું હતું કે રૂ. ૨,૦૦૦ની નોટો બદલવાની સમયમર્યાદા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩થી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોક્સભામાં જણાવ્યું હતું કે એક વિશેષ અભિયાન હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના અધિકારીઓએ ૯,૩૬૯ શેલ એન્ટિટીની ઓળખ કરી છે અને ૯ જુલાઈ સુધી ૧૦,૯૦૨ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે.

સરકારે સંસદમાં માહિતી આપી હતી કે ૨૦૨૧માં સાયબર ફ્રોડના ૧૪,૦૦૭ કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાને ટાંકીને, નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું હતું કે ૨૦૨૧ માં ઓનલાઈન એપ્સ દ્વારા કરવામાં આવેલા સાયબર છેતરપિંડીના કેસોની કુલ સંખ્યા ૧૪,૦૦૭ છે. આ પ્રકાશિત આંકડા વર્ષ ૨૦૨૧ સાથે સંબંધિત છે.