સેવાલિયાના કુણી ગામની કેનાલમાંથી પ્રેમીપંખીડાના મૃતદેહો મળ્યા

સેવાલિયા, સેવાલિયાના કુણી ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાંથી પ્રેમી યુગલના મૃતદેહો મળી આવ્યા હતા. આ બાદ પોલીસે બંનેના મૃતદેહોને બહાર કાઢી પી.એમ.અર્થે સેવાલિયા આરોગ્ય કેન્દ્રમાં મોકલી તપાસ કરતા બંને પ્રેમી યુગલ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પીલોદ્રા ગામના રહેવાસી હોવાનુ બહાર આવ્યુ હતુ.

ગળતેશ્ર્વર તાલુકાના કુણી સીમ વિસ્તારમાંથી પસાર થતી મહી કેનાલના પાણીમાંથી પ્રેમી યુગલની લાશ મળી આવતા જેમાં યુવક અને યુવતિ એકબીજા સાથે હાથ બાંધેલ હાલતમાં બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે પ્રસરતા આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ અંગે સેવાલિયા પોલીસે તપાસ કરતા મૃતક યુવતીનુ નામ ઉર્મીલાબેન ચંદુભાઈ પટેલિયા(ઉ.વ.19)અને મૃતક યુવકનુ નામ મિતેશકુમાર છત્રસિંહ ઝાલા(ઉ.વ.27, બંને રહે.પીલોદ્રા, તા.બાલાસિનોર)હોવાનુ બહાર આવ્યુ હતુ.