જૂનાગઢ જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે,કપરાડામાં ૯ ઈંચ વરસાદ, ગમે ત્યારે ખોલાશે દાંતીવાડા ડેમના દરવાજા

અમદાવાદ, રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ કારણે ગુજરાતના વિવિધ ડેમની સ્થિતિ ભયજનક સ્તરે આવી ગઈ છે. શેત્રુંજી ડેમના 20 અને મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા છે. તો જામનગરમાં ધોધમાર વરસાદ, અનેક ગામોને એલર્ટ કરાયાં છે. આ વચ્ચે વલસાડના કપરાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. ડેમમાં 65,330 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ કારણે ડેમના 10 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. નદી કિનારાના ગામના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. 

તો બીજી તરફ, બનાસકાંઠામાં ઉપરવાસમાં વરસાદને લઈને દાંતીવાડા ડેમના દરવાજા ખોલાય તેવી શક્યતા છે. ઉપરવાસમાં જો વરસાદ પડે તો આજે બપોરે બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખોલી 2 હજાર ક્યુસેક પાણી છોડાશે. દાંતીવાડા ડેમના દરવાજા ખોલવાની શક્યતાઓને લઈને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. 

હાલ ચોમાચામાં જોરદાર વરસાદને લઈને જૂનાગઢ જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. જ્યારે 1 મહિના જેવા સમયથી અવિરત વરસાદ અને એમાં પણ 10 દિવસ પડેલા ભારે વરસાદે જિલ્લાને તરબોળ કરી દીધો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં નદીઓના પાણી ખેતી વિસ્તારમાં પથરાઈ ગયા હતા અને તેને કારણે વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. ત્યારે જૂનાગઢ ના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કલેક્ટરને લેટર લખવામાં આવ્યો છે અને પોતાના મત વિસ્તારમાં થયેલા નુકશાનનું સર્વે કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં જમીનોનું ધોવાણ થયાનું તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મકાનો પડી જાવા સાથે પશુઓના મૃત્યુ સહિત વ્યાપક નુકશાની અંગે જણાવાયું છે. જેમનું તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવા અંગે જણાવાયું છે. 

લેટેસ્ટ આંકડા અનુસાર, રાજ્યના 207 જળાશયોમાં 58.40 ટકા પાણી ભરાયું છે. તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 63.12 ટકા પાણીનો સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.73 ટકા પાણી, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.34 ટકા પાણીનો જથ્થો, કચ્છના 20 ડેમમાં 65.27 ટકા પાણી છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 74.96 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 66.92 ટકા પાણી ભરાયું છે.