છોટાઉદેપુરમાં વાસી દિવાસાએ ઢીંગલા-ઢીંગલીના લગ્ન યોજાયા:કરશન ગામે લોકસંસ્કૃતિના જતન સાથે નદીમાં વિસર્જન કરાયું

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના કરશન ગામે વાસી દિવાસા પર્વ નિમિત્તે આદિવાસી લોકસંસ્કૃતિ અને વર્ષો જૂની પરંપરાનું જતન જોવા મળ્યું.

ગામમાં પરંપરા મુજબ ઢીંગલા-ઢીંગલીના લગ્ન ધામધૂમથી યોજાયા હતા.ઢોલ-નગારાં અને દેશી વાજિંત્રોના તાલે ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઢીંગલા-ઢીંગલીના લગ્નની પરંપરાગત વિધિઓ કરાઈ હતી. લગ્ન બાદ ઢીંગલા-ઢીંગલીની શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

ત્યારબાદ ઢીંગલા-ઢીંગલીનું નદીના જળમાં વિસર્જન કરાયું. ગ્રામજનોએ જણાવ્યું કે, આ પરંપરા સાથે સારી ખેતી, સુખ-સમૃદ્ધિ અને સારા વરસાદની લોકમાન્યતા જોડાયેલી છે.

કરશન ગામના વડીલો અને આગેવાનોએ જણાવ્યું કે, આધુનિક યુગમાં પણ આવી પરંપરાઓનું જતન જ‚રી છે. નવી પેઢીને આદિવાસી સંસ્કૃતિ અને લોકવારસાથી પરિચિત કરવાના હેતુથી આવા પરંપરાગત પ્રસંગોનું આયોજન થાય છે.

વાસી દિવાસાના આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોએ પરંપરાગત લોકસંસ્કૃતિને જીવંત રાખવાનો સંદેશ આપ્યો.