પોલીસને થપ્પડ મારવાના કેસમાં ભાજપના સાંસદને ૧ વર્ષની સજા, ૨૯ વર્ષ પછી ચુકાદો

નવીદિલ્હી, વર્ષ ૧૯૯૪માં ભાજપના પૂર્વ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી હતી તે વખતે ભાજપના નેતા અને સાંસદ રામપતિ રામ ત્રિપાઠીએ પોલીસને થપ્પડ મારી હતી, તેનો ચુકાદો હવે ૨૯ વર્ષ પછી આવ્યો છે અને ભાજપના સાંસદ અને તેમના એક સહયોગીને કોર્ટે ૧ વર્ષની સજા સંભળાવી છે. વકીલે કોર્ટમા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો પોલીસ પર જાનથી મારી નાંખવાની મનસા સાથે તુટી પડ્યા હતા.

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દેવરિયાના વર્તમાન સાંસદ રમાપતિ રામ ત્રિપાઠી અને સંતરાજ યાદવને સજા સંભળાવવામાં આવી છે. આ ઘટના વર્ષ ૧૯૯૪ની છે. જ્યારે તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા ગોરખપુર પહોંચી હતી. આ દરમિયાન પોલીસ સાથે મારપીટ થઈ હતી. સરકારી કામમાં અવરોધ ઉભો કરવા અને સબ-ઇન્સ્પેક્ટરને થપ્પડ મારવાના આરોપમાં દેવરિયા ભાજપના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રમાપતિ રામ ત્રિપાઠી અને તેમના સહયોગી નરહપુરના સંતરાજ યાદવને પણ એક વર્ષની સજા કરવામાં આવી છે. અપરાધને દોષિત ઠેરવવા પર, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રભાષ ત્રિપાઠીએ સજા સંભળાવતી વખતે બંને લોકોને ૨,૩૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

જાણા મળેલી માહિતી મુજબ, ફરિયાદ પક્ષ વતી વિશેષ સરકારી વકીલ અંબરીશ ચંદ્ર મલ્લાએ કોર્ટને જણાવ્યું કે, સબ-ઇન્સ્પેક્ટર શિવમંગલ સિંહ તેમના સાથીઓ સાથે ૧૬ જુલાઈ, ૧૯૯૪ના દિવસે નૌસડમાં તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીની સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ વ્યવસ્થા માટે હાજર હતા. અડવાણી નૌસડથી ગોરખપુર જવા રવાના થયાના થોડા સમય પછી, લગભગ ૧૨ વાગ્યે મારવાડિયા કુઆન તરફ બનેલી ઘટનાને લઈને ભાજપના પ્રદેશ કાર્યર્ક્તાઓએ સૂત્રોચ્ચાર કરીને હાઇવેને બ્લોક કરી દીધો હતો.

જ્યારે સબ-ઇન્સ્પેક્ટર શિવમંગલ સિંહે તેના સાથીદારો સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપી ગુસ્સે થઈ ગયા અને તેમણે શિવમંગલ સિંહને પકડી લીધા અને મુઠ્ઠીઓ વડે માર માર્યો હતો. તેની સર્વિસ રિવોલ્વર ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના જોઈને સાથીદારો અને કર્મચારીઓએ ફરિયાદીને બચાવવાનો પ્રયાસ કર્યો તો ઉપેન્દ્ર દત્ત શુક્લ સાથે આવેલા ૧૦૦-૧૫૦ કાર્યકરોના ટોળાએ પોલીસને જાનથી મારી નાખવાની નિયત સાથે તુટી પડ્યા હતા અને ઇંટ, પથ્થર, કોલ્ડ ર્ડ્રીંક્સની બોટલો, ડંડા, લાત, મૂક્કાથી ખરાબ રીતે મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. જેને કારણે લોકોમાં ભય ફેલાયો હતો અને દુકાનદારો તેમની દુકાનો બંધ કરીને ભાગી ગયા હતા. કોર્ટે પુરાવાના આધારે ચુકાદો સંભળાવ્યો હતો.