કડાણા જળાશયની પાઈપલાઈનમાં નવી એજન્સીની નિમણુંક,પમ્પિંગ સ્ટેશનની નવી મોટરો મુકવા સુચન

દાહોદ, દાહોદમાં કડાણા જળાશય આધારિત પાણીની પાઈપલાઈનમાં ગુજરાતી ખામી જરૂરિયાતો તેમજ વહીવટને લઈ ઉચ્ચકક્ષાએ થયેલી રજુઆતોના સંદર્ભમાં ગાંધીનગર મુકામે કેબિનેટ મંત્રીની અઘ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં દાહોદના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, દાહોદ નગરપાલિકાના અને સુધરાઈ સભ્યો, મઘ્ય ગુજરાત વીજ કં5નીના એન્જિનીયરો, તેમજ પાટાડુંગરી તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓના અંતે પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીએ દાહોદ વાસીઓને પાણી મુદ્દે પડતી અગવડતા, હિતો તેમજ સુખાકારીને ગંભીરતાથી લઈ કેટલાક નિર્ણયો લીધા હતા. જેમાં કડાણા જળાશય આધારિત પાણીની પાઈપલાઈનમાં મેન્ટેનન્સ કરનાર ધરતી એજન્સીને તાત્કાલિક ધોરણે કાઢી મુકી તેમની જગ્યાએ અન્ય એજન્સીની નિમણુંક કરવા ભાણાસીમલ, આફવા તેમજ કુંડા પમ્પિંગ સ્ટેશન ઉપર જુની અને ભંગાર થઈ ગયેલી મોટરોને કાઢી તેમની જગ્યાએ તાત્કાલિક ટેન્ડરો બહાર પાડી ખુબ જ ઝડપથી ટેન્ડરીંગ પ્રક્રિયા પુર્ણ કરી અત્યાધુનિક નવીન મોટરો ફીટ કરવા તેમજ પાણીની પાઈપલાઈનમાં અવાર નવાર લાઈટોનો પ્રોબ્લેમ થતાં કેબિનેટ મંત્રીએ મઘ્ય ગુજરાત વીજ કંપનીનો ઉઘડો લીધો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, સરકાર તમને એકસપ્રેસ વે લાઈનના પૈસા ચુકવે છે. તો પછી અવાર નવાર વીજ સપ્લાયનો પ્રોબ્લેમ કેમ આવે છે. તાત્કાલિક ધોરણે માણસોની નિમણુંક કરી એકસપ્રેસ લાઈનમાં જે પણ ક્ષતિ હોય તે દુર કરી બધાની સમયના લાઈટના મુદ્દે કોઈપણ પ્રકારની ફરિયાદ ન આવે તે માટે મઘ્ય ગુજરાત વીજ કંપનીને તાકિદ કરી હતી. હાલમાં પાટાડુંગરી જળાશયમાંથી 8 એમ.એલ.ડી.પાણી આવે છે. પરંતુ આ પાઈપલાઈનમાંથી 8 એમ.એલ.ડી.કરતા વધુ પાણી સપ્લાય કરે તો પાણીના ફોર્સના કારણે જુની થયેલી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાની આશંકાઓ સેવાઈ રહી છે.જેના પગલે કેબિનેટ મંત્રીએ સંબંધિત વિભાગોને અમૃત-2 યોજનામાં પાટાડુંગરીથી દાહોદ નવી પાઈપલાઈન નાંખવા માટેનો પ્રોજેકટ તૈયાર કરી નવી પાઈપલાઈન નાંખવા માટે મંજુરી આપી છે. બીજી તરફ તાજેતરમાં વરસાદ ખેંચાયો છે. કડાણા જળાશયમાં પણ પાણીની આવક ઓછી થતાં ફુટવાલ દેખાવા લાગ્યા છે. જેના પગલે કડાણા જળાશયથી પાણી સપ્લાય કરવામાં સમસ્યા ઉભી થઈ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી કડાણા જળાશય પર ગોઠવેલા ફુટવેલ નીચે કરવાની કામગીરીમાં જોડાયા છે.