મંદિરમાંથી ચપ્પલ ચોરાયા, યુવાને એફઆઇઆર કરી, ઇમાનદારીની કમાણીથી ખરીદેલા હતાં

કાનપુર, કાનપુરના જાણીતા ભૈરવ બાબા મંદિરમાં દર્શન કરવા ગયેલા એક યુવકે પાછા આવીને જોયું તો ચપ્પલ ગાયબ હતા, હજુ ૨ દિવસ પહેલાં જ નવા ખરીદ્યા હતા.પહેલાં તો યુવકે મંદિરની પાસે ચપ્પલ શોધ્યા, પરંતું જ્યારે સફળતા ન મળી તો પોલીસ પાસે પહોંચી ગયો હતો અને ચપ્પલ ચોરાયાની FIR નોંધાવી હતી. આ અનોખા કેસની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. યુવકે ફરિયાદમાં કહ્યું કે, પ્રમાણિક્તાની કમાણીથી ખરીદેલા હતા.

કદાચ દેશ-દુનિયાનું ભાગ્યે જ કોઇ એવું મંદિર કે મસ્જિદ હશે, જ્યાં શ્રદ્ધાળુઓના નવા ચપ્પલ કે શૂઝ ન ચોરાયા હોય. કોઇક વાર ભુલથી જૂતા બદલાઇ જતા હોય છે અથવા મોટાભાગે તો ચોરી જ થઇ જતા હોય છે. પરંતુ સામાન્ય રીતે લોકો ઉઘાડા પગે જ ઘરે ચાલ્યા જાય છે અથવા રસ્તામાંથી નવા ચપ્પલ ખરીદી લે. ચપ્પલ, કે શૂઝની ચોરી માટે કોઇ પોલીસ સ્ટેશન જતું નથી. પરંતુ કાનપુરના યુવકે ચપ્પલ ચોરી માટે ફરિયાદ નોંધાવી છે.

કાનપુરના દબૌલી વિસ્તારમા રહેતા કાંતિલાલ નિગમ એક ઇલેક્ટ્રોનિક કંપનીમાં જોબ કરે છે. તેઓ રવિવારે કાનપુરના પ્રસિદ્ધ ભૈરવ બાબા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરવા જતા પહેલા કાંતિલાલે જે દુકાનેથી પૂજાનો સામાન લીધો હતો, ત્યાં ચપ્પલ ઉતાર્યા હતા.જ્યારે દર્શન કરીને પાછા ફર્યા તો ચપ્પલ ગાયબ હતા. કાંતિલાલે કાનપુર ઈ- પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી દીધી છે.

કાંતિલાલ નિગમે કહ્યુ કે, હજુ ૨ દિવસ પહેલાં જ નવા ચપ્પલ ખરીદ્યા હતા. નિગમે કહ્યુ કે, હું દર રવિવારે ભૈરવ બાબાના દર્શન કરવા આવું છું, પરંતુ આ પહેલા મારી ચપ્પલની ક્યારેય ચોરી થઇ નથી.કાંતિલાલે કહ્યુ કે પૂજાની દુકાનની આજુબાજુ જૂની ચપ્પલોના ઢગલા પડ્યા હતા, પરંતુ નવી ચપ્પલ ગાયબ થઇ ગઇ, એનો મતલબ એ છે કે કોઇ નવી ચપ્પલો પર જ નજર રાખતું હશે.

કાંતિલાલે એફઆઇઆરમાં કહ્યું છે કે, મેં મહેનત અને ઇમાનદારીની કમાણીમાંથી ચપ્પલ લીધા હતા, ચપ્પલ ચોરી થવાને કારણે મારે ઉઘાડા પગે ઘરે જવું પડ્યું એટલે મારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહેરબાની કરીને ચપ્પલ ચોરને પકડીને કાયદાકીય કાર્યવાહી કરવા કૃપા કરજો.

પોલીસે કહ્યું કે, ચોરી નાની વસ્તુની કે મોટી વસ્તુની હોય, ફરિયાદ નોંધાવવાનો દરેકને હક છે. એફઆઇઆર કરનાર પાસે અમે ચપ્પલ ખરીદીનું બીલ માંગ્યું છે, મળ્યેથી ચોરની તપાસ કરવાની કોશિશ કરીશું.