અર્થવ્યવસ્થા, ચીન અને રાજ્યો બધામાં પીએમ મોદી નિષ્ફળ છે: ભાજપના સાંસદ

વડોદરા, ગુજરાતમાં એક ખાનગી યુનિવર્સિટી ના કાર્યક્રમમાં હાજર રહેલાં પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને રામ મંદિર જેવા મુદ્દાઓ પર બેધડક નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાના મુદ્દે પીએમ મોદી નિષ્ફળ ગયા છે અને તેમણે આગામી ચૂંટણી ન લડવી જોઇએ. ભારતીય અર્થતંત્રની મજબુતાઇની દુનિયાભરમાં પ્રસંશા થઇ રહી છે,વર્લ્ડ ઇકોનોમી ફોરમથી માંડીને આઇએમએફના પ્લેટફોર્મ પર ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીની ચર્ચા છે, પરંતુ સુબ્રમણ્યમ સ્વામીની નજરમાં પ્રધાનમંત્રી મોદી સરકાર નિષ્ફળ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે પીએમ મોદી અર્થવ્યવસ્થાના મુદ્દે નિષ્ફળ છે, ચીનના મુદ્દા પર પણ અને રાજ્યોમાં અત્યારે જે કઇં થઇ રહ્યું છે તે મુદ્દે પણ નિષ્ફળ ગયા છે.

અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દે સ્વામીએ કહ્યું કે જે કઇં થયું તે મેં કર્યું છે. સ્વામીએ એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે અર્થવ્યવસ્થામાં કંઈ જ યોગ્ય નથી. તેમણે કહ્યું કે કોરોનાના સમયમાં ભારતની અર્થવ્યવસ્થા ૧૬ ટકા નીચે ચાલી ગઇ હતી જે હજુ સુધી ઉપર આવી નથી. બાકી દેશોની અર્થવ્યવસ્થા ઉપર આવી ગઇ છે.

સ્વામીએ કહ્યું કે જે થોડી ઘણી અર્થવ્યવસ્થા છે એની અતિશયોક્તિ કરવામાં આવી રહી છે. સુબ્રમણ્યસ્વામીએ મીડિયાને કહ્યું કે,સરકારના પક્ષ સાથે મારી ડિબેટ કરાવો, દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે.

પૂર્વ રાજયસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રાહુલ ગાંધીનેબાલિશ હરક્તો કરવા વાળા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો શું ચુકાદો આવશે તેના વિશે મને ખબર નથી, પરંતુ રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે. એવા અનેક મુદ્દાઓ છે જેને ઉઠાવવા જોઇએ, પરંતુ રાહુલ બાળકો જેવી વાતો કરે છે. આટકલ ૩૭૦ને હટાવવાના મુદ્દાને તેમણે અધૂરો ગણાવ્યો હતો.

વડોદરાની ખાનગી યુનિવર્સિટી મહેમાન બનેલા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે દેશનું વિભાજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમો અહીં રહી શકે છે, પરંતુ સંસ્કૃતિ હિંદુ હોવી જોઈએ. તો આ પછી રામસેતુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મોદી સરકાર રામસેતુને રાષ્ટ્રીય ધરોહર કેમ જાહેર નથી કરી રહી. તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવી જોઈએ જેથી ભવિષ્યમાં તેને કોઈ બગાડી ન શકે. તેમને રામસેતુને રાષ્ટ્રીય ધરોહર બનાવવામાં કોઈ અડચણ નથી. ત્યાં કોઈ હિંદુ-મુસ્લિમ અને ખ્રિસ્તી મુદ્દો નથી.