ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી માટે એસ જયશંકરે ભર્યુ ફોર્મ, બે નામ પર સસ્પેન્શ હજુ યથાવત

ગાંધીનગર, ગુજરાતની રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ બેઠક પૈકી પ્રથમ ફોર્મ ભાજપ દ્વારા ભરવામાં આવ્યુ છે. એસ જયશંકર દ્વારા ૧૨.૩૯ના શુભ મુહૂર્તમાં આ ફોર્મ ભરવામાં આવ્યુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ,ભાજપના હોદ્દેગારો હાજર રહ્યાં હતાં જયશંકરે ફોર્મ ભર્યા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે ગુજરાતમાંથી મને રાજયસભામાં જવાનો અવસર મળ્યો એનું હું સૌભાગ્ય માનું છે.

તેમણે એમ પણ જણાવ્યું હતુ કે ચાર વર્ષ પહેલા હું ભાજપ તરફથી રાજયસભામાં ગયો હતો. જ પછી વિદેશ નીતિમાં મને જોડાવાનો અવસર મળ્યો. હવે આગામી સમયમાં વડાપ્રધાન મોદી તરફથી જે વિકાસકામો અને પ્રગતિ થશે તેમા મારુ યોગદાન આપીશ. ગુજરાતમાં જોડાવાનું મારુ સૌભાગ્ય છે. તેને મોડેલ સ્ટેટ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ઓળખ વધી છે. ભાજપ, સમર્થકોનો હું આભાર માનું છું.

પહેલી વખત એવુ જોવા મળી રહ્યુ છે કે રાજયસભાના નામોને લઇને સસ્પેન્સ યથાવત છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૩ જુલાઇ છે અને આજે ૧૦ જુલાઇએ ભાજપ તરફથી પહેલુ ફોર્મ ભરવામાં આવ્યુ છે. જો કે હજુ સુધી બીજા બે નામ કયા હશે તે સસ્પેન્સ અકબંધ છે. આ જ પ્રકારની પરિસ્થિતિ અગાઉ લોક્સભાની ચૂંટણીમાં સર્જાઇ હતી. અમદાવાદ પૂર્વ અને પશ્ર્ચિમમાં જે નામો જાહેર કરવાના હતા. કિરીટ સોલંકીનું નામ જાહેર થઇ ચુક્યુ હતુ. જો કે હસમુખ પટેલનું નામ અંતિમ સમય સુધીમાં જાહેર થયુ ન હતુ. જે દિવસે ફોર્મ ભરવાનું હતુ તેના એક કલાક પહેલા જ આ નામ જાહેર કરવામાં આવ્યુ હતુ.

જો કે રાજ્યસભાની ચૂંટણી માટે આ પ્રકારની ઘટના ક્યારેય બનતી નથી. આ પહેલી વખત થઇ રહ્યુ છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી તમામ નામોની જાહેરાત કરવામાં નથી આવી.બીજી તરફ કોંગ્રેસ દ્વારા ફોર્મ નહીં ભરવામાં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે મહદઅંશે ચૂંટણી બિનહરીફ યોજાવાની છે. ૧૩ જુલાઇ સુધીમાં ભાજપના જે પણ ઉમેદવારો ફોર્મ ભરશે, તેમની જીત બાદમાં જાહેર કરી દેવામાં આવશે. ગુજરતની ત્રણ બેઠક માટે ૮ નામ મોકલવામાં આવ્યા હતા. એસ જયશંકરનું નામ કન્ફર્મ માનવામાં આવતુ હતુ.