દુ:ખી થઈને રાજીનામું આપવાનું વિચાર્યું હતું: મણિપુરના મુખ્યમંત્રી

ઇમ્ફાલ, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે તેઓ લોકોના વર્તનથી દુખી છે. મણિપુરમાં ૨ મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે બિરેન સિંહે શુક્રવારે ૩૦ જૂને રાજીનામું આપવાનું વિચાર્યું હતું. આ માટે તેઓ રાજ્યપાલ અનુસુઈયા ઉઇકેને મળવાના હતા. જોકે બાદમાં તેણે પોતાનો નિર્ણય બદલ્યો હતો.

શુક્રવારે જ્યારે તેમના રાજીનામાના સમાચાર આવ્યા, ત્યારે સેંકડો મહિલાઓએ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે બિરેન સિંહે રાજીનામું ન આપવું જોઈએ, પરંતુ હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. મુખ્યમંત્રીએ સાંજે ૪.૧૫ વાગ્યે ટ્વિટર પર લખ્યું – આ સમયે હું રાજીનામું આપવાનો નથી.

બિરેન સિંહે કહ્યું- લોકોએ વડાપ્રધાનના પૂતળા સળગાવવાનું શરૂ કર્યું. ભાજપ કાર્યાલયો પર હુમલા કરવા લાગ્યા. શા માટે પીએમના પૂતળા બાળવામાં આવ્યા, તેમણે શું કર્યું? મારા પૂતળા સળગાવવામાં આવે તો કોઈ વાંધો નહોતો. આનાથી મને દુ:ખ થયું.