અતીક-અશરફ મર્ડર કેસમાં યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો સ્ટેટસ રિપોર્ટ

  • ૫ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

લખનૌ, યુપી સરકારે ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની કસ્ટોડિયલ હત્યા અંગે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાની તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ૫ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબેના એક્ધાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બીએસ ચૌહાણની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા આપવામાં આવેલા સૂચનોના પાલન વિશે પણ માહિતી આપી છે. એડવોકેટ વિશાલ તિવારીની આ અરજી પર યુપી સરકારે આ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ અંગે સુનાવણી કરશે.

નોંધપાત્ર વાત એ છે કે, આ સંદર્ભમાં, અતિકની બહેન આયશાએ માફિયા ભાઈઓની હત્યાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અથવા સ્વતંત્ર એજન્સીની આગેવાની હેઠળની સમિતિ દ્વારા વ્યાપક તપાસની માંગ કરવામાં આવી હતી. અતીકની બેહેને કહ્યું કે યુપીમાં સરકારની મદદથી ગેરકાયદેસર બિન ન્યાયિક હત્યાનું અભિયાન ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે તેમના પરિવારના સભ્યો અને અન્ય વ્યક્તિઓના મૃત્યુ એ યુપી દ્વારા એક દુષ્ટ, મનસ્વી અને ગેરકાયદેસર અભિયાનનો ભાગ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ, NHRCએ પણ કાયદો અને વ્યવસ્થાના નામે આ એક્ધાઉન્ટરોની ટીકા કરી છે. અતીકની બહેનની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપી સરકાર બદલાની ભાવનાથી તેના પરિવાર વિરુદ્ધ કામ કરી રહી છે.

આયેશાએ પોતાની અરજી દ્વારા પરિવારના સભ્યોની સુરક્ષાની માંગ કરી છે. અતીક અને અશરફની હત્યા માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્રના આરોપસર કેસ નોંધવાની પણ માંગ કરી હતી.

અતીકની બહેન પહેલા એડવોકેટ વિશાલ તિવારીએ અતીક અને અશરફની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેણે પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવાની માંગ કરી હતી. આ સાથે પીઆઈએલમાં ૨૦૧૭થી એપ્રિલ સુધી થયેલા ૧૮૩ એક્ધાઉન્ટરોની તપાસ નિષ્ણાત સમિતિ દ્વારા કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે યુપીના પ્રયાગરાજમાં ૧૫ એપ્રિલની રાત્રે માફિયા અતીક અને તેના ભાઈ અશરફની ત્રણ શૂટરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આરોપીઓની ઓળખ અરુણ મૌર્ય, સની અને લવલેશ તિવારી તરીકે થઈ હતી. ત્રણેય જણા પત્રકાર તરીકે દેખાતા પોલીસ કાફલા પાસે પહોંચ્યા. આ પછી, અતીક અને તેના ભાઈ અશરફે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું કે તરત જ ત્રણેય ફાયરિંગ કરી દીધું. આ દરમિયાન લગભગ ૧૮ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી ૮ ગોળીઓ અતીક અહેમદને વાગી હતી.