નવાઝ ફરી પાકિસ્તાનના પીએમ બની શકે છે: સંસદે આજીવન અયોગ્યતાનો કાયદો બદલ્યો, હવે માત્ર વર્ષ માટે જ ડિસ્ક્વોલિફાઈ રહેશે

  • નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે કહ્યું કે તેના પિતા જલ્દી પાકિસ્તાન પરત આવી શકે છે. ત્યાર બાદ તે રાજકીય નિર્ણય લેશે.

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન લંડનથી દેશમાં પરત ફર્યા બાદ ચૂંટણી લડી શકશે અને જો તેઓ જીતશે તો તેઓ ફરીથી વડાપ્રધાન પણ બની શકશે. પાકિસ્તાનની સંસદે ’આજીવન અયોગ્યતા’ રદ કરી છે.નવા કાયદા હેઠળ કોઈપણ સાંસદને ૫ વર્ષથી વધુ સમય માટે ગેરલાયક ઠેરવી શકાશે નહીં. નવાઝની સાથે નવી પાર્ટી ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટીના ચીફ જહાંગીર ખાન તારીનને પણ નવા કાયદાનો લાભ મળશે.

આઈપીપીમાં મોટાભાગે એ જ નેતાઓનો સમાવેશ થાય છે જેમણે ૯ મેની હિંસા પછી ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) છોડી દીધી હતી. એવું માનવામાં આવે છે કે આ પાર્ટી સેનાએ જ તૈયાર કરી છે, જેથી ઈમરાનને રાજકીય રીતે ખતમ કરી શકાય.

નવાઝ શરીફને રાજકીય ષડયંત્ર હેઠળ જૂન ૨૦૧૭માં અનેક મામલામાં સજા સંભળાવવામાં આવી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે તેમના પર આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમને બંધારણની કલમ ૬૨ (૧) (ક) હેઠળ પણ અપ્રમાણિક જાહેર કરવામાં આવ્યા હતા.અયોગ્યતા કાયદાને બદલવા માટેનું નવું બિલ આ મહિનાની શરૂઆતમાં સંસદના ઉપલા ગૃહ સેનેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર થયો છે. આ પછી, આ જ બિલ શનિવારે નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે રવિવારે અહીં પસાર થયો હતો.

નવા બિલ મુજબ કોઈપણ સાંસદ કે ધારાસભ્યને ૫ વર્ષથી વધુ સમય માટે ગેરલાયક ઠેરવી શકાશે નહીં. ધારો કે જો ૨૦૨૩માં કોઈ સાંસદ અથવા ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તો તે વધુમાં વધુ પાંચ વર્ષ એટલે કે ૨૦૨૮ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

નવા કાયદા અનુસાર નવાઝ અને જહાંગીર ખાન તારીન બંને હવે માત્ર ચૂંટણી જ લડી શકશે નહીં, પરંતુ વડાપ્રધાન સહિત દેશમાં કોઈપણ પદ પર રહી શકશે. માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ટૂંક સમયમાં આ બિલને મંજૂરી આપશે. જોકે, જો તે આમ ન કરે તો પણ કોઈ ફરક નહીં પડે, કારણ કે ૨૦ દિવસ પછી આ બિલ આપોઆપ કાયદો બની જશે. નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે શનિવારે કહ્યું કે તેના પિતા જલ્દી પાકિસ્તાન પરત આવી શકે છે. ત્યાર બાદ તે રાજકીય નિર્ણય લેશે.નવાઝ શરીફ અત્યાર સુધી ૩ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. ૨૦૧૭માં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પનામા પેપર્સ કેસમાં નવાઝ શરીફને ગેરલાયક ઠેરવ્યા હતા. આ પછી તેઓ કોઈ ચૂંટણી પણ લડી શક્યા ન હતા. ૨૦૧૯માં, લાહોર હાઈકોર્ટે નવાઝને સારવાર માટે ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. નવાઝ ૧૯ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ લંડન ગયો હતો અને ત્યારથી પાછો આવ્યો નથી.

૨૦૧૮માં, કોર્ટે નવાઝને અલ-અઝીઝિયા સ્ટીલ મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં દોષી ઠેરવ્યો હતો અને તેને સાત વર્ષની સજા ફટકારી હતી. આ સિવાય એવેનફિલ્ડ પ્રોપર્ટી કેસમાં તેને ૧૧ વર્ષની સજા અને ૮૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ૧૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ, લાહોર હાઈકોર્ટે નવાઝની સજાને સ્થગિત કરી અને તેને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી. ઈમરાન જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમના રેલ્વે મંત્રી શેખ રશીદે નવાઝ અને તેમના ભાઈ શાહબાઝ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. રાશિદે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે નવાઝ અને તેનો ભાઈ સ્પેશિયલ પ્લેનમાં ઓછામાં ઓછા ૮૨ બોક્સ લઈને લંડન ગયા હતા. આમાં શું હતું? તેની તપાસ કેમ ન થઈ? આટલો સામાન લઈ જવાની પરવાનગી કોણે આપી? નવાઝની પુત્રી મરિયમ હવે કેમ ચૂપ છે?

રશીદે આગળ કહ્યું- આજે શરીફને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવી છે, કાલે આસિફ અલી ઝરદારી પણ આ જ માંગ કરશે. તો પછી તમે તેમને કેવી રીતે નકારી શકશો. બિલાવલ વિશે વાત ન કરીએ તો સારું રહેશે. હું જાણું છું કે તેનું સત્ય શું છે.રશીદના કહેવા પ્રમાણે, એકલા શેહબાઝે લગભગ ૪૨૩ કરોડ પાકિસ્તાની રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓ ૩૨ કંપનીઓના માલિક છે. નવાઝે પોતે ઓછામાં ઓછી ૧૬ એવી કંપનીઓ બનાવી છે જે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે.જહાંગીર ખાન તારીન અને ઈમરાનની આ તસવીર ૨૦૧૬ની છે. ત્યારે બંને ખૂબ જ ગાઢ મિત્રો હતા. હવે તારીને ઈમરાનની પાર્ટીને તોડવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે.