મોસ્કોએ આતંકવાદ વિરોધી કટોકટીની સ્થિતિ જાહેર કરી

મોસ્કો, મોસ્કો અને આસપાસના પ્રદેશના સત્તાવાળાઓ દ્વારા આતંકવાદ વિરોધી કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રશિયન ભાડૂતી નેતા યેવજેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર બળવો કરવામાં આવ્યો છે. અને દક્ષિણ રશિયાના લશ્કરી હેડ ક્વાટર્સ પર કબ્જો કર્યાના અહેવાલ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ જણાવ્યું હતું કે, “શહેર અને મોસ્કો ક્ષેત્રમાં સંભવિત આતંકવાદી હુમલાઓને રોકવા માટે, આતંકવાદ વિરોધી કામગીરીની સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.”

મોસ્કોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. યુક્રેનની સરહદે આવેલા દક્ષિણપશ્ર્ચિમ રશિયાના વોરોનેઝ પ્રદેશે પણ આવી જ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

આતંકવાદ વિરોધી કટોકટીની સ્થિતિ રશિયન સત્તાવાળાઓને નિયંત્રણ વધારવા અને ધરપકડની પણ છૂટ આપવામાં આવી છે. નાગરિક ટેલિફોન કોલ્સ પણ ઘણી વખત ટેપ કરી શકાય છે.

દક્ષિણ રશિયાના રોસ્ટોવ અને લિપેટ્સકમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રોસ્ટોવમાં, સત્તાવાળાઓએ તમામ રહેવાસીઓને તેમના ઘર ન છોડવા કહ્યું છે. સંરક્ષણ મંત્રાલય સાથે મહિનાઓથી ચાલતા વિવાદમાં ફસાયેલા વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિને આજે મોસ્કો પર ઘાતક મિસાઈલ હુમલાઓ વડે તેમના દળોને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

તેમણે દેશના લશ્કરી નેતૃત્વને ઉથલાવી પાડવા માટે તમામ જરૂરી પગલાં લેવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યું કે તેમના દળો તેમના માર્ગમાં આવતા તમામ અવરોધોને “નાશ” કરશે. પ્રિગોઝિને કહ્યું, “અમે આગળ વધી રહ્યા છીએ અને અમે અંત સુધી જઈશું.” તેણે રશિયનોને તેની સેનામાં જોડાવા વિનંતી કરી. મોસ્કોના લશ્કરી નેતૃત્વને સજા કરવા પણ વિનંતી કરી હતી.