ભગવાન જગન્નાથે આખી રાત મંદિરની બહાર જ વિતાવી, મંગળા આરતી બાદ મંદિરમાં વિરાજમાન થયા

અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક પૂર્ણ થઇ. શહેરમાં હજારો ભક્તોના ઘોડાપુર સાથે હર્ષોલ્લાસ પૂર્વક રથયાત્રાનો પર્વ ઉજવાયો. આ એવી ક્ષણ હોય છે જેનો લ્હાવો લઇને ખરેખર ધન્યતા અનુભવાય. ભગવાનના દર્શન કરવા તો સૌ કોઇ મંદિરમાં જાય પરંતુ જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવે તો પછી ભક્તોમાં હરખ તો કેટલો હોય! ત્યારે નગરચર્યાએ જઇને આવેલા ભગવાન જગન્નાથ આખી રાત મંદિર બહાર જ વિતાવી. આજે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો.

મંગળા આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરાયા. આજે પણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રથ અને ભગવાન જગન્નાથજીના નજીકથી દર્શન કરવાનો આજનો એકમાત્ર દિવસ છે. જેથી વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પરંતુ સવાલ અહીં એ પણ થાય કે શા માટે ભગવાને મંદિરની બહાર રાતવાસો કરવો પડ્યો? રાતે જ કેમ ગર્ભગૃહમાં સ્થાપિત ન કરાયા?

એવી લોકવાયકા છે કે ભગવાન જગન્નાથજી ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાને લઇને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. પરંતુ પત્ની રુક્મણિને લીધા વગર જ તેઓ નગરચર્યા કરી આવે છે. જેથી રિસાયેલી પત્ની ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ આપતી નથી. જેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. રિસામણા મનામણા થયા પછી છેક સવારે જ જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. જગન્નાથજી પત્નીને કહે છે કે, ’હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રૂકમણિને મનાવી લે છે.’ જેથી સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

વર્ષમાં એકવાર ભગવાન મંદિરની બહાર નીકળે છે. એવી લોકવાયકા છે કે શણગાર કરીને ભક્તોને દર્શન આપવા આવે છે ત્યારે સ્વાભાવિક છે ભક્તોની નજર ભગવાનને લાગી જ ગઇ હોય. કારણ કે આ દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેથી ભગવાન જ્યારે નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે. આજે ભગવાનની નજર ઉતારવામાં આવી અને તે પછી યજમાન દ્વારા મહાઆરતી કરવામાં આવી. આ વિધિ પતાવીને જ ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

ભગવાન જગન્નાથજીની નગરચર્યા બાદ જે ત્રણ રથ છે તેની પણ વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે. ત્રણેય રથની અષાઢી સુદ પાંચમના દિવસે પૂજા કરવામાં આવે છે ત્યારબાદ રથની સાફસફાઇ કરીને તેને સ્થાન પર મુકવામાં આવે છે.