પીએમ મોદી તમિલનાડુથી લોક્સભા ચૂંટણી લડે તેવા સંકેત, રજનીકાંત પણ ભાજપ માટે પ્રચાર કરશે

  • ગૃહ મંત્રી અમિત શાહના તમિલ વડાપ્રધાન બને એવા નિવેદનથી પક્ષની સ્ટ્રેટેજીને વધારે બળ મળી રહ્યું છે.

નવીદિલ્હી, નરેન્દ્ર મોદી માટે અને ભાજપ માટે વર્ષ ૨૦૨૪ ખુબ જ અગત્યનું રહેશે. કારણકે, ૨૦૨૪માં લોક્સભાની ચૂંટણીઓ આવી રહી છે. એક તરફ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. તો બીજી તરફ વિપક્ષ દ્વારા મોદીના વિજય રથને રોકવા અનેક પ્રયાસો થઈ રહ્યાં છે. આ પરિસ્થિતિની વચ્ચે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છેકે, આ વખતે પીએમ મોદી તમિલનાડુથી લોક્સભાની ચૂંટણી લડશે. એટલું જ નહીં ચર્ચા એવી પણ છેકે, સાઉથના સુપરસ્ટાર રજનીકાન્ત પણ મોદી માટે પ્રચાર કરતા જોવા મળશે. જોકે, હજુ સુધી આ માંથી એકપણ વાતની સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. આ સમાચારો હાલ સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર પત્રોમાં વહેતા થયા છે. અમે આ અંગેની પુષ્ટી કરતા નથી.

હાલ એવા સમાચારો વહેતા થયા છેકે, સાઉથમાં સુપરસ્ટાર રજનીકાંત તેમજ અન્ય અગ્રણીઓ સાથે ભાજપનો આક્રમક પ્રચાર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છેકે, દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી હમેશા ચઢાણ રહ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે તમિલનાડુથી લોક્સભાની ચૂંટણી લડે એવા સંકેત મળી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે રવિવારે ગૃહ મંત્રી અમિત શાહના તમિલ વડાપ્રધાન બને એવા નિવેદનથી પક્ષની આ સ્ટ્રેટેજીને વધારે બળ મળી રહ્યું છે.

વર્ષ ૨૦૧૪ની લોક્સભા ચૂંટણીમાં ગુજરાતમાં વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેની બન્ને બેઠક જીતી વડાપ્રધાન પદના દાવેદાર તરીકે મોદીએ પોતાની દેશવ્યાપી લોકચાહનાનો પરિચય આપ્યો હતો. આ પછી બીજી વખત પણ તેમણે વારાણસીથી ચૂંટણી જીતી હતી. બન્ને વખતે, બન્ને રાજ્યોમાં ગૃહમંત્રીના નિવેદનને સમજવામાં સ્થાનિક નેતાઓ નિષ્ફળ રહ્યા હતા.

રાજકીય પંડિતો માને છે કે અમિતશાહ વડાપ્રધાન નરેન્દ્રમોદી તમિલનાડુથી આગામી ચુંટણી લડે અને ૨૦૨૪માં ફરી દેશના વડાપ્રધાન બને એવો સંકેત આપી રહ્યા હતા. તમિલનાડુના રાજકીય નેતાઓ અમિતશાહે કરેલી વાતનું યોગ્ય અર્થઘટન કરી શક્યા નથી. અમિત શાહે રાજકીય વ્યુહ રચનાના ભાગ રૂપે તમિલ વ્યક્તિ કે પછી તમિલનાડુથી વિજય મેળવનાર વડાપ્રધાન બને એવું નિવેદન કર્યું હતું. છેલ્લા પાંચ દાયકાથી તમિલનાડુના રાજકારણ ઉપર ડીએમકે અને એઆઈડીએમકેનું પ્રભુત્વ રહ્યું છે. કોંગ્રેસ કે અન્ય કોઇપણ રાષ્ટ્રીય પક્ષને સ્થાનિક પક્ષ સાથે જ હાથ મિલાવી અહીં સત્તાનું સ્થાન પ્રાપ્ત થયું છે.