મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને ૪.૨૫ ટકા પર આવી ગયો છે.

નવીદિલ્હી, મોંઘવારીના મોરચે સતત ત્રીજા મહિને સરકાર અને સામાન્ય લોકોને રાહતના સમાચાર મળ્યા છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને ૪.૨૫ ટકા પર આવી ગયો છે. જે એપ્રિલ ૨૦૨૧ પછી સૌથી ઓછું સ્તર જોવા મળ્યું છે. આ જ આંકડો એપ્રિલ મહિનામાં ૪.૭૦ ટકા હતો અને માર્ચ મહિનામાં ૫.૭ ટકા થયો હતો. આનો સ્પષ્ટ અર્થ છે કે સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે અને ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૨૦૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો મોંઘવારીના આંકડા આગામી દિવસોમાં ચોમાસા પર નિર્ભર રહેશે. આ વખતે અલ નીનો કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી શકે છે.

જો આપણે ખાદ્ય મોંઘવારીની વાત કરીએ તો મે મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનામાં ખાદ્ય ફુગાવો ૩.૮૪ ટકા હતો જે મે મહિનામાં ઘટીને ૨.૯૧ ટકા પર આવી ગયો છે. ગ્રામીણ ફુગાવો ૪.૧૭ ટકા જ્યારે શહેરી ફુગાવો ૪.૨૭ ટકા હતો. બેઝ ઈફેક્ટ સિવાય ખાદ્યપદાર્થો અને ઈંધણની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે પણ આવી સંખ્યા જોવા મળી રહી છે. નીચા ઉર્જાના ભાવો ઉપરાંત, અનાજ અને શાકભાજીના ભાવમાં નરમાઈએ પણ ફુગાવાના સ્તરમાં ઘટાડો કર્યો છે. એલપીજી અને કેરોસીનના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે મે મહિનામાં ઇંધણનો ફુગાવો નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે.

આ મહિને યોજાયેલી આરબીઆઇ એમપીસીની બેઠકમાં રિઝર્વ બેંકે સતત બીજા મહિને રેપો રેટ સ્થિર રાખ્યો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ ૬.૫૦ ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મે ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં રેપો રેટમાં ૨.૫૦ ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે આ વર્ષના અંત સુધી આરબીઆઇ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. બીજી તરફ, કેટલાક નિષ્ણાતો માને છે કે જો ઓગસ્ટ સુધીમાં ફુગાવો ૪ ટકા પર આવી જાય છે, તો ઓગસ્ટના દર ચક્રમાં વ્યાજ દર ૦.૧૫ ટકાથી વધારીને ૦.૨૫ ટકા થઈ શકે છે.

ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે આઇઆઇપી આ વર્ષે એપ્રિલમાં ૪.૨ ટકાના દરે વધ્યું છે. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલ ૨૦૨૨માં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ૬.૭ ટકા વધ્યો હતો.એનએસઓના ડેટા અનુસાર, એપ્રિલ ૨૦૨૩માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન ૪.૯ ટકા અને ખાણકામનું ઉત્પાદન ૫.૧ ટકા વયું છે. તે જ સમયે, વીજળી ઉત્પાદનમાં ૧.૧ ટકાનો ઘટાડો થયો છે.