મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં એકનું મોત

ઇમ્ફાલ, એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં મણિપુરમાં સ્થિતિ પાટા પર નથી આવી. રાજ્યમાં હિંસાની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. સોમવારે પણ રાજ્યમાં હિંસા જોવા મળી હતી, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેના બાજી સંભાળી રહી છે. બીજી બાજુ બંને સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા જૂથોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકોમાં ભાગ લેશે નહીં.

અહેવાલ મુજબ પોલીસે પણ સોમવારે થયેલી હિંસાની પુષ્ટિ કરી છે. હિંસા ચુરાચંદપુર જિલ્લાના લૈલોઈફોઈ વિસ્તારમાં થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. હિંસામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ ૨૨ વર્ષીય એન મુએનસાંગ તરીકે થઈ છે, જે ગ્રામ્ય સંરક્ષણ સ્વયંસેવક છે.

આ હિંસા એવા સમયે થઈ જ્યારે ૫૧ સભ્યોની શાંતિ સમિતિના વડા રાજ્યપાલ અનુસુયા ઉઇકે ઘટનાના બે દિવસ પહેલા શનિવારે ચુરાચંદપુરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ત્રણ રાહત કેમ્પની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજ્યમાં હિંસા શરૂ થયા બાદ આ પ્રથમ વખત હતો, જ્યારે રાજ્યપાલ હિંસા પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા હતા.

અહીં રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે સોમવારે હિંસા પીડિતોને સમર્થન આપ્યું હતું અને વિદ્યાર્થીઓના શિક્ષણની શરૂઆતનું આશ્ર્વાસન આપ્યું હતું. આ સિવાય મુખ્યમંત્રીએ બીજી ઘણી મહત્વની જાહેરાતો કરી. વિસ્થાપિતોને ઘર આપવાની ખાતરી આપી. તેમણે લોકોને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર રાજ્યના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઉભી રહેશે અને હિંસામાં નાશ પામેલા ઘરોનું પુન:નિર્માણ કરવામાં આવશે.

જણાવી દઈએ કે હિંસા બાદથી સેંકડો વિદ્યાર્થીનીઓએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર, હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૪૭,૦૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આમાં એવા સેંકડો લોકો છે જેમના ઘર બરબાદ થયા છે. ગત સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર પહોંચ્યા હતા. જેમાં તેમણે હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન જ શાહે હિંસાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો.