૭૦૦ ઈન્ડિયન સ્ટુડન્ટ્સને કાઢી મૂકશે કેનેડા: ફેક ઑફર લેટરથી એડમિશનનો આરોપ,પંજાબે કેન્દ્ર પાસે માંગી મદદ

કેનેડામાં અભ્યાસ કરતા લગભગ ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેનેડામાં અભ્યાસ કરતા આ ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવામાં આવી શકે છે. કેનેડાની સરકાર આ ભારતીય વિદ્યાર્થીઓનેને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં આ તમામ વિદ્યાર્થીઓ પર નકલી ઓફર લેટર્સ દ્વારા એડમિશન લેવાનો આરોપ છે.

કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે. કેનેડા બોર્ડર સવસ એજન્સીના હેડક્વાર્ટર સામે આ ધરણા આપવામાં આવી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ માને છે કે, તેઓએ કંઈ ખોટું કર્યું નથી અને તેઓ બનાવટીનો ભોગ બન્યા છે. પંજાબના આવા જ એક વિદ્યાર્થી લવપ્રીત સિંહે કેનેડાની કોલેજમાં એડમિશન લીધું છે, તેને ૧૩ જૂને દેશનિકાલ કરવામાં આવશે.

આ તરફ પંજાબના એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કેન્દ્ર પાસે ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ઉકેલવાની માંગ કરી છે, જેમાં મોટાભાગે પંજાબીઓ છે. આ તમામ કેનેડામાં ઈમિગ્રેશન ફ્રોડમાં પકડાયા છે અને દેશનિકાલના કેસનો સામનો કરી રહ્યા છે. ધાલીવાલે વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમાં માંગ કરી હતી કે, વિદ્યાર્થીઓને દેશનિકાલ ન કરવો જોઈએ અને તેમના વિઝાને ધ્યાનમાં લઈને વર્ક પરમિટ આપવામાં આવે.

આ સાથે તેમણે ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરી હતી કે, વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનારા ટ્રાવેલ એજન્ટોને સજા કરવા માટે કેન્દ્રએ પંજાબ સરકારને સહકાર આપવો જોઈએ. ધાલીવાલે કહ્યું, મેં વિદેશ મંત્રી સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો છે જેથી કરીને સમગ્ર મામલો વ્યક્તિગત રીતે ભારત સરકારના ધ્યાન પર લાવી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા કેસોમાં કાયદો કડક હોવો જોઈએ જેથી ભવિષ્યમાં માનવ તસ્કરીની ઘટનાઓ ન બને.

આ સાથે પંજાબના એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે લોકોને વિદેશ જતા પહેલા અથવા તેમના બાળકોને અભ્યાસ માટે મોકલતા પહેલા કોલેજની વિગતો અને ટ્રાવેલ એજન્ટનો રેકોર્ડ તપાસવાની પણ અપીલ કરી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, ઈન્ડોનેશિયામાં મૃત્યુદંડની સજા પામેલા બે પંજાબી છોકરાઓનો કેસ ૨૬ જૂનથી ફરી શરૂ થઈ રહ્યો છે અને આશા છે કે આ કેસમાં બંનેને નિર્દોષ જાહેર કરવામાં આવશે.