તારા સપના પુરા ના કરી શક્યો, માફ કરજે : મહીસાગર જિલ્લા ક્ષય કેન્દ્રમાં નોકરી કરતા યુવકે ડોક્ટરના ત્રાસથી કર્યો આપઘાત

લુણાવાડા,મહીસાગરના જિલ્લા ક્ષય કેન્દ્રમાં નોકરી કરતા કર્મચારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. યુવાન વયના આ કર્મચારીએ આપઘાત કરી લેતા પરિવાર માટે મોટો આઘાત હતો પણ તે અરસામાં પરિવાર માટે વધુ ચોંકાવનારી બાબતએ પણ હતી કે યુવકે મૃત્યુ પહેલા લખેલી અંતિમ ચીઠ્ઠીમાં તેના આખરી શબ્દો પણ હૃદયમાં ફાળ પાડનારા હતા. યુવકે લખ્યું હતું કે તે પોતાના ત્યાં કામ કરતા એક ડોક્ટરને કારણે પરેશાન થઈ ગયો છે અને તેના કારણે આપઘાત કરી રહ્યો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સાથે જ અન્ય બાબતો પર પણ તપાસ આરંભી છે.

લુણાવાડા પોલીસે આપઘાતની જાણકારી મળતા સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મધવાસ ગામના 37 વર્ષના મનોજ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતો હતો. દરમિયાન પોલીસને એક અંતિમ ચીઠ્ઠી પણ મળી આવી છે. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના ડોક્ટર ધર્મેન્દ્ર ચૌહાણ અને મયુર સોની વારંવાર કામને લઈને દબાણ કરતા હોવાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા નશાની હાલતમાં પણ ફોન કરીને ધમકી આપવાાં આવતી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ત્યારે સરકારી હોસ્પિટલના કર્મચારીએ ડોક્ટરના કારણે આપઘાત કર્યાની વાતે ભારે ચકચાર ઊભી કરી છે. જેને કારણે મહીસાગર જિલ્લાની કોટેજ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. લુણાવાડા પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મયુર સોની અને ડો.ધર્મેન્દ્ર ચૌહાણના બ્લડ સેમ્પલ પણ કલેકટ કરવા સૂચના કરી ફરિયાદ દાખલકરી વધું તાપસ હાથ ધરી હતી.