
- શિંદેએ બળવો પોકારીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકારને પાડી હતી.
મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરીથી ઉથલપાથલ જોવા મળી શકે છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ વિનાયક રાઉતે દાવો કર્યો છે કે એકનાથ શિંદે જૂથના ૨૨ ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે વિધાયકો જ નહીં શિંદેની શિવસેનાના ૯ સાંસદ પણ અમારી પાસે પાછા ફરવા માટે તૈયાર છે. આ બધા લોકો ત્યાં પરેશાન છે. કારણ કે તેમના કામ થતા નથી. મુખ્યમંત્રી પણ તેમની વાત સાંભળતા નથી.
અહેવાલ મુજબ વિનાયક રાઉતે આ દાવો શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકરના એ નિવેદન બાદ કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ શિંદે શિવસેનાના સાંસદોને ભાવ આપતો નથી. એનડીએની સાથે હોવા છતાં તેમને સન્માન મળતું નથી કે તેમના કામકાજ થતા નથી. રાઉત આ સાથે જ એવો પણ દાવો કર્યો કે મંત્રી શંભુરાજે દેસાઈએ થોડા દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે તેમને અહીં (શિંદે શિવસેના) ગૂંગળામણ થઈ રહી છે અને તેઓ પાછા ફરવા માંગે છે.
જો કે શંભુરાજે દેસાઈએ રાઉતના આ દાવાને ફગાવ્યો છે. તેમણે કહ્યું કે મે એવો કોઈ પત્ર ઉદ્ધવ ઠાકરેને લખ્યો નથી. દેસાઈએ વિનાયક રાઉત પાસે માફીની માંગણી કરી છે. તેમણે કહ્યું કે હું ચેતવણી આપી રહ્યો છું કે જો રાઉતે પોતાના નિવેદન બદલ માંફી ન માંગી તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ.
નોંધનીય છે કે જૂન ૨૦૨૨માં એકનાથ શિંદેએ બળવો પોકારીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પાડી હતી. શિંદેએ શિવસેનાના અડધા કરતા વધુ વિધાયકોને તોડ્યા હતા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. ઉદ્ધવ જૂથના ૧૩ સાંસદ પણ શિંદે પાસે જતા રહ્યા હતા. વર્ષ ૨૦૧૯માં જ્યારે શિવસેનાએ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ-એનસીપીના સહયોગથી સરકાર બનાવી તો મુખ્યમંત્રી બનવાની હોડમાં એકનાથ શિંદે સૌથી આગળ હતા. અહીં ઉદ્ધવ ઠાકરેએ પરંપરા પલટી નાખીને પહેલીવાર ઠાકરે પરિવારથી મુખ્યમંત્રી મહારાષ્ટ્રને આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને તેનાથી એકનાથ શિંદે તેમના હાથમાંથી સરકી ગયા હતા.