ભાવનગરમાં ભગવાન જગન્નાથની ૩૮મી રથયાત્રાની તડામાર તૈયારીઓ

ભાવનગર, ગુજરાતના ભાવનગરમાં ભગવાન જગન્નાથની ૩૮મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયાએ કહ્યું કે ૨૫ હજારથી વધુ કેસરી ધજા-પતાકા લગાવવામાં આવશે. રથયાત્રા સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે.રથયાત્રામાં પ્રસાદ, ભજન મંડળી, બેન્ડ અને પ્રભુની વિવિધ ઝાંખીઓ દર્શાવવામાં આવશે.ભાવનગરના રાજવી દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.ગુજરાતમાં બીજા નંબરની મોટી ભાવનગરની રથયાત્રામાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે.

ભાવનગરમાં જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ભાવિક ભક્ત હરજીવનભાઈ દાણીધારીયા નામના ભક્ત ભગવાન જગન્નાથના વાઘા રથયાત્રા માટે ખાસ તૈયાર કરે છે. તેઓ ખાસ સિલ્કના કાપડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રંગબેરંગી અને ચમકદમક વાળા ખાસ વાઘા તૈયાર કરે છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને આ વો પહેરાવી શહેરના રાજમાર્ગો પર લોકોના દર્શન માટે રથયાત્રા પસાર કરાશે.

આ દિવસે ભગવાનના દર્શન અને ખાસ કરીને ભગવાનને વિશેષ શણગારમાં જોવા એ પણ લ્હાવો છે. કાળિયા બીડમાં રહેતા મહિલા ભક્ત પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા ભગવાનને પહેરાવવામાં આવતી પાઘ અને સાફા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોતી અને ઝરીની લેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ વાઘાના શણગાર સાથે જ્યારે ભગવાન રથયાત્રાએ નીકળે છે ત્યારે શહેરના નાગરિકો આ નયનરમ્ય દર્શન કરીને ધન્યતા અનુભવે છે.