કન્નૂરમાં એક જ પરિવારના ૩ બાળકો સહિત ૫ લોકોના મૃતદેહ મળી આવ્યા

કન્નૂર, કેરલના કન્નૂર જિલ્લામાં હદય કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક જ ઘરમાં એક જ પરિવારના ૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાં આટલી મોટી સંખ્યામાં મૃતદેહ મળ્યા બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

કન્નૂરના ચેરપુજ્હાના એક ઘરમાં પાંચ લોકોનો પરિવાર રહેતો હતો. આજે સવારે અહીં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મૃતદેહ મળવાથી હડકંપ મચી ગયો છે. આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

પ્રાથમિક તપાસ પ્રમાણે આ હત્યા અને આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, દંપતીએ પહેલા ત્રણેય બાળકોની હત્યા કરી નાખી અને પછી આત્મહત્યા કરી લીધી.

બંનેના લગ્ન ગત અઠવાડિયે જ થયા હતા. મૃતક મળી આવેલા ત્રણ બાળકો મહિલાના પહેલા લગ્નના હતા. બાળકોના મૃતદેહ સીડી પરથી લટકેલા મળી આવ્યા હતા જ્યારે દંપતીના મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકેલા મળી આવ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ૨૩-૨૪ મે રાતની છે. આજુ-બાજુના લોકોએ પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.