‘મોચા’ મચાવશે તબાહી! દરિયો ગાંડોતૂર, ૩ દિવસનું રેડ અલર્ટ જાહેર

આજે સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છેઃ બાંગ્‍લાદેશ-મ્‍યાનમાર તટ તરફ આગળ વધશેઃ પુર્વોતર રાજયોમાં બેફામ વરસાદ ખાબકશે

નવી દિલ્‍હીઃ છેલ્લા થોડા દિવસોથી ચક્રવાત મોચાના ભણકારા વાગી રહ્યા છે એવામાં હવામાન વિભાગ અનુસાર ચક્રવાત ‘મોચા’ આજે સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે. જો કે આ ચક્રવાતની અસર ગઇકાલે રાતથી જ જોવા મળવાની હતી આવી સ્‍થિતિમાં હવામાન વિભાગે ૩ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્‍ડ, આસામ અને મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને રાજય સરકારોએ તમામ સંબંધિત અધિકારીઓને જાન-માલના નુકસાનને રોકવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવા જણાવ્‍યું છે.

એ વાત તો નોંધનીય છે કે ચક્રવાત મોચા બાંગ્‍લાદેશ-મ્‍યાનમાર તટ તરફ આગળ વધશે અને સાવચેતીના પગલાં લઈને પશ્ચિમ બંગાળ સરકારે નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્‍તારોને ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્‍થળોએ મોકલ્‍યા છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્‍યું હતું કે ચક્રવાતી તોફાન મોચા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં મધ્‍ય બંગાળની ખાડી ક્ષેત્રને લગતા ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવે તે ૯ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.

આઇએમડીએ જણાવ્‍યું કે ચક્રવાત મોચાઆજે સાંજે તેની ટોચની તીવ્રતા પર પહોંચી જશે. તે બાંગ્‍લાદેશઅને મ્‍યાનમાર વચ્‍ચે દક્ષિણપૂર્વ બાંગ્‍લાદેશ અને ઉત્તર મ્‍યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્‍યતા છે.

આવતી કાલે રવિવારે બપોરના મ્‍યાનમારની નજીક આવશે. ચક્રવાત મોચાના કારણે ૧૪૦-૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની મહત્તમ ઝડપ ૧૬૫ કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે.

ચક્રવાત મોચાના અસરની વાત કરીએ તો ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્‍ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં મોટાભાગના સ્‍થળોએ ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે આ રાજયોમાં આજે શનિવાર અને કાલે રવિવારે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ સાથે જ વરસાદ અને પવનને કારણે પૂર્વોત્તર રાજયોમાં ભૂસ્‍ખલનની શક્‍યતા છે.