વડોદરા નજીક સિંધરોટ ચેક ડેમમાં નાહવા ગયેલા બે મિત્રોનાં ડૂબવાથી મોત નિપજયાં,બે પરિવારે એકના એક પુત્રોને ગુમાવ્યા,

વડોદરા,કાળઝાળ ગરમીની શરૂઆત થતાં અને હાલ ચાલી રહેલા વેકેશનને પગલે નદી કિનારાઓ ઉપર પિકનિક કરવા સાથે નાહવા માટે લોકો ઊમટી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી ઉપર આવેલ સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા. જેમાં એક સગીર અને એક યુવક ડૂબી જવાથી બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક લોકો સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યા હતા. ડૂબી જવાથી મોતને ભેટેલ બંને પરિવારના એકના એક પુત્રો હતા.

આ અંગેની મળેલી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.૧૯), સોહન પ્રવિણભાઇ રોહિત (ઉં.વ.૧૭), વિશાલ ગિરીશભાઇ પરમાર (ઉં.વ. ૧૯), અક્ષત અશોકભાઇ રોહિત (ઉં.વ. ૧૧) અને કેતન ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે વડોદરા નજીક સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા.

ચેકડેમ ખાતે આવી પહોંચેલા પાંચેય મિત્રોએ નદી કિનારે પોતાની પિકનિક બેગ મૂકીને નાહવા માટે ગયા હતા. જેમાં સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.૧૯) અને સોહન પ્રવીણભાઇ રોહિત (ઉં.વ.૧૭)નું ચેક ડેમની પાછળના ભાગમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યા હતા. તાલુકા પોલીસે બંનેના મૃતદેહો કબજે કરી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સિંધરોટ ચેકડેમ ખાતે નાહવા માટે આવેલા પાંચ મિત્રો પૈકી વિશાલ ગિરીશભાઇ પરમારે ઘટના અંગે જણાવ્યું હતું કે, હું બીસીએના બીજા વર્ષમાં આણંદ ખાતે અભ્યાસ કરું છું. અમે પાંચ મિત્રો ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા. નદી કિનારે અમારી બેગો મૂકીને અમો સાથે નાહવા ગયા હતા. બપોરના ૨.૩૦ વાગ્યાના સુમારે મને અને કેતનને ભૂખ લાગતા અમો નાસ્તો કરવા માટે ગયા હતા. અમે નાસ્તો કરવા માટે જઇ રહ્યા હતા. તે સમયે સોહન, સાગર અને અક્ષતને પણ નાસ્તો કરવા માટે સાથે આવવા જણાવ્યું હતું, પરંતુ ત્રણ પૈકી કોઇ અમારી સાથે આવ્યું ન હતું.

વધુમાં વિશાલે જણાવ્યું હતું કે, ૧૧ વર્ષનો અક્ષત પાછળથી અમારી સાથે નાસ્તો કરવા માટે આવવા તૈયાર થઇ ગયો હતો. જ્યારે સાગર અને સોહન બંને નાહવા માટે ચેક ડેમ ઉપર રોકાયા હતા. અમે ૩ વાગ્યે નાસ્તો કરીને પરત ફર્યા ત્યારે સોહન અને સાગર દેખાયા ન હતા. જેથી અમે ક્યાંક ગયા હશે તેવું સમજી અને તપાસ કરી ન હતી. જે બાદ એક કલાક જેટલો સમય થવા છતાં, તેઓ ન દેખાતા તપાસ કરી, પરંતુ મળી આવ્યા ન હતા. આથી અક્ષતને પૂછતા તેણે જણાવ્યું હતું કે, સોહન અને સાગર ચેક ડેમના પાછળના ભાગે તેઓ કૂદકા મારી નાહી રહ્યા હતા.વિશાલે ભારે હૈયે જણાવ્યું કે, જે બાદ અમે બંને મિત્રો સોહન અને સાગરની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સોહનનો મૃતદેહ દેખાઇ આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ સોહનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તે બાદ સાગરનો મૃતદેહ દેખાઇ આવતા સ્થાનિક તરવૈયાઓએ તેનો મૃતદેહ પણ બહાર કાઢ્યો હતો. બંનેના મૃતદેહ બહાર કાઢ્યા બાદ આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને બંનેના મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

વિશાલે જણાવ્યું હતું કે, અમારી સાથે ૧૧ વર્ષનો અક્ષત રોહિત નાસ્તો કરવા માટે આવી જતા તે બચી ગયો હતો. અમારી સાથે સોહન અને સાગર પણ નાસ્તો કરવા માટે આવી ગયા હોત તો કદાચ આ દુર્ઘટના સર્જાઇ ન હતો. સોહન અને સાગર અમારા ખાસ મિત્રો હતા. આ બંને મિત્રોની અમોને કાયમ માટે યાદ આવશે.વિશાલે વધુમાં જણાવ્યું હતું કે, સિંધરોટ ચેક ડેમ ખાતે મોતને ભેટેલા સોહન અને સાગર પરિવારના એકના એક પુત્ર હતા. સોહનને બે બહેન છે અને સાગરને એક બહેન છે. સોહનના પિતા નોકરી કરે છે અને સાગરના પિતા ખેતી કરે છે. સોહનનું ધોરણ-૧૨નું પરિણામ આવવાનું હતું અને તેને સારા ટકા આવવાની પણ આશા હતી. જ્યારે સાગર બી.એ.ના પ્રથમ વર્ષમાં આણંદ ખાતે અભ્યાસ કરે છે. આ બનાવને પગલે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. આજે સવારે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે સાગર રોહિત અને સોમન રોહિતના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. બંનેના મૃતદેહો લેવા માટે તેમનાં પરિવારજનો તેમજ મિત્રો સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યાં હતાં. કોલ્ડરૂમ ખાતે પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. ફળિયાના જ બે યુવાનોના એક્સાથે મોત નીપજતા મૃતદેહો લેવા માટે આવેલાં પરિવારજનો, મિત્રો સ્તબ્ધ થઇ ગયાં હતાં. વડોદરા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.