પાકિસ્તાનમાં હિંસા, સિંધ સિવાય સમગ્ર દેશમાં સેના તહેનાત:ઈમરાનની પાર્ટીના નેતાઓની ધરપકડ

  • ઈમરાનની ધરપકડને લઈને લંડનમાં વિરોધ પ્રદર્શન.

ઇસ્લામાબાદ,અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા વધી રહી છે. સિંધ પ્રાંત સિવાય પંજાબ, ખૈબર પખ્તુનવા અને બલૂચિસ્તાનમાં સેના તહેનાત કરવામાં આવી છે. દરમિયાન, પીટીઆઈ નેતા શાહ મહમૂદ કુરેશીની ગુરુવારે સવારે અને ફવાદ ચૌધરીની મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધીમાં ઇમરાનની પાર્ટીના લગભગ ૧૯૦૦ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે. ૯ મેના રોજ ઈમરાનની ધરપકડ બાદ ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં ૮ લોકોનાં મોત થયા છે. ઘટનામાં ૨૯૦ લોકો ઘાયલ થયા છે. બુધવારે ઈમરાન ખાનને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)ને ૮ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. સેનાએ હિંસા પર પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી. કહ્યું, ’૯ મેના દિવસને પાકિસ્તાનના ઈતિહાસમાં કાળા અધ્યાય તરીકે જોવામાં આવશે.’

પીટીઆઈના સમર્થકોએ પેશાવરમાં ચૂંટણી પંચની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો. હિંસા વચ્ચે ચાંગ વિસ્તારમાં પરમાણુ કેન્દ્ર પર કમાન્ડો તૈનાત છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક મહિના માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ઈમરાનની ધરપકડને લઈને લંડનમાં વિરોધ પ્રદર્શન પર બ્રિટિશ પીએમ ૠષિ સુનકે કહ્યું- આ પાકિસ્તાનનો પોતાનો મામલો છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

પીએમ શાહબાઝ શરીફે કહ્યું- ઈમરાન અને પીટીઆઈએ દેશને ભારે નુક્સાન પહોંચાડ્યું છે. આતંકવાદીઓની જેમ લશ્કરી મથકો પર હુમલો કર્યો. ૭૫ વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. ઈમરાન એનએબીની કામચલાઉ કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટે ખાનને ૮ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. તોશાખાના કેસમાં પણ પૂર્વ પાક પીએમ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. વિદેશી દૂતાવાસોના કર્મચારીઓને બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં ઈન્ટરનેટ બંધ છે. શાળા-કોલેજો બે દિવસ માટે બંધ છે. કરાચીમાં પણ પીટીઆઈના કાર્યકરોએ ઘણી જગ્યાએ આગચંપી કરી હતી. આ દરમિયાન પોલીસ ફોર્સ ત્યાં તહેનાત હતી.

બુધવારે ઈમરાન ખાનના સમર્થકોએ લાહોરમાં પીએમ શાહબાઝ શરીફના ઘર પર હુમલો કર્યો હતો. ૫૦૦ થી વધુ પ્રદર્શનકારીઓએ શરીફના ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમજ ઘર પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. બાદમાં જ્યારે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા તો પ્રદર્શનકારીઓ ભાગી ગયા. જોકે, પાકિસ્તાન સરકારે આ હુમલાની પુષ્ટિ કરી નથી.

સરકારના કહેવા પ્રમાણે, જ્યારે ઈમરાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે જમીન માફિયા મલિક રિયાઝને મની લોન્ડરિંગના કેસમાં ફસાવ્યો હતો. લંડનમાં તેના ૪૦ અબજ જપ્ત કર્યા. બાદમાં બ્રિટિશ સરકાર દ્વારા આ નાણાં પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા. ઈમરાને આ માહિતી કેબિનેટને પણ નથી આપી.

આ પછી ઈમરાને અલ કાદિર ટ્રસ્ટની રચના કરી. તેણે ધાર્મિક શિક્ષણ આપવા માટે અલ કાદિર યુનિવર્સિટીની રચના કરી. આ માટે મલિક રિયાઝે અબજો રૂપિયાની જમીન આપી હતી. બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી હતી. તેના બદલામાં રિયાઝના તમામ કેસ પડતા મૂકવામાં આવ્યા હતા. તેને કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટ પણ મળ્યા હતા.ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું- સરકારી તિજોરીને ૬૦ અબજ રૂપિયાનો ફટકો પડ્યો. ૧૩ મહિનામાં એકપણ વાર ઈમરાન કે બુશરા પૂછપરછ માટે આવ્યા નથી. ૪ વર્ષ પછી પણ આ યુનિવર્સિટીમાં માત્ર ૩૨ વિદ્યાર્થીઓ છે.