દે.બારીયના મોટીઝરી ગામે કુવા માંંથી મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોટીઝરી ગામેથી એક પાણીવાળા કુવામાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મહિલાની ઓખળ છતી કરવાનો પ્રયાસો હાથ ધર્યા છે.

ગત તા.03 એપ્રિલના રોજ મોટીઝરી ગામે રહેતાં અશોકભાઈ દશરથભાઈ પટેલના તળાવવાળા ખેતરમાં આવેલ પાણીવાળા કુવામાંથી વહેલી સવારના આઠેક વાગ્યાના આસપાસ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક મહિલાના મૃતદેહેને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતો. મહિલા ક્યાં ગામની છે ? મહિલા અહીં કેવી રીતે આવી પહોંચી ? તેને આત્મહત્યા કરી દે પછી તેની કોઈકે હત્યા કરી નાંખી ? વિગેરે જેવા અનેક સવાલો સાથે સ્થાનીક પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સંબંધે અશોકભાઈ દશરથભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં આ સંબંધે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.