દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસ ૯ હજારને પાર, ૨૬ લોકોના મોત, એક્ટિવ કેસ ૬૦ હજારની નજીક

નવીદિલ્હી,આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯,૩૫૫ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ૨૬ નવા મૃત્યુ બાદ દેશમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૪૨૪ થઈ ગઈ છે. જો કે આજે ગત દિવસ કરતા કોરોનાના ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં ગઈકાલે કોરોનાના ૯,૬૨૯ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી ૨૯ લોકોના મોત થયા હતા. આ મોતમાં એકલા કેરળના ૧૦ દર્દીઓ સામેલ હતા. આજે જાહેર થયેલા આંકડા બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૫૭,૪૧૦ થઈ ગઈ છે. દૈનિક પોઝીટીવીટી દર ૪.૦૮ ટકા અને સાપ્તાહિક પોઝીટીવીટી દર ૫.૩૬ ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. આ આંકડો વધીને ૪,૪૩,૩૫,૯૭૭ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૨૨૦,૬૬,૫૪,૪૪૪ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪,૩૫૮ લોકોને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોવિડ કેસની કુલ સંખ્યા ૪.૪૯ કરોડ પર પહોંચી ગઈ છે.

રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસની સંખ્યા વધીને ૨૦,૩૬,૧૯૬ થઈ ગઈ છે. આગલા દિવસે ૧૦૪૦ નવા કેસ નોંધાયા હતા. હાલમાં ૪૭૦૮ એક્ટિવ કેસ છે અને કુલ કેસની સંખ્યા વધીને ૨૦,૩૬,૧૯૬ થઈ ગઈ છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત એક દિવસમાં કોવિડ-૧૯ના ૪૯૮ નવા કેસ નોંધાયા છે. રાજસ્થાનના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. દેશભરમાં ૨૬ મૃત્યુના આંકડામાં એકલા કેરળમાં ૬ મૃત્યુ નોંધાયા છે. આગલા દિવસે પણ કુલ ૨૯ મૃત્યુમાંથી કેરળમાં ૧૦ મૃત્યુ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશમાં ૬૨૭ નવા કોવિડ કેસ નોંધાયા છે જેમાં બુલંદશહરમાં એક મૃત્યુ નોંધવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં પોઝીટીવીટી દર ૧.૬૩ ટકા છે.