મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૨ મે સુધી લંબાવવામાં આવી

નવીદિલ્હી,દિલ્હી દારૂ કૌભાંડમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૨ મે સુધી લંબાવવામાં આવી છે. આજે તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા, જ્યાં તેમની જ્યુડિશિયલ કસ્ટડી આગામી મહિના માટે લંબાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૨ મે સુધી વધારી દીધી છે. આ પહેલા કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી ૧ મે સુધી વધારી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, જેમને કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ બાદ ૨૬ ફેબ્રુઆરીએ CBI  દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ તેમની ઘણા દિવસોના રિમાન્ડ પર પૂછપરછ કરી, ત્યારબાદ કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

તમને જણાવી દઈએ કે, ૨૭ ફેબ્રુઆરીએ કોર્ટે સિસોદિયાને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા, જેથી તપાસ એજન્સી નિષ્પક્ષ તપાસ માટે તેમની સમક્ષ મૂકવામાં આવેલા સવાલોના જવાબ મેળવી શકે. કોર્ટે કહ્યું હતું કે આરોપી અગાઉ બે વખત તપાસમાં જોડાયા હતા. જો કે, તેમને પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના સંતોષકારક જવાબો આપ્યા ન હોવાનું જોવા મળ્યું હતું. હાલ તે તિહાર જેલમાં બંધ છે.

આ પહેલા ઈડી એમ કહીને સિસોદિયાના રિમાન્ડની માંગણી કરી હતી કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. તેઓને સામસામે બેસાડીને ત્રણ લોકોની પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક આઇએએસ અધિકારીનો સમાવેશ થાય છે. ઇડી વતી ઝોહેબ હુસૈન હાજર રહ્યા હતા. બીજી તરફ મનીષ સિસોદિયાના વકીલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ફોન બદલવાનો કેસ સીબીઆઈની કસ્ટડીનો ભાગ હતો, હવે તેના આધારે રિમાન્ડ આપી શકાય નહીં.