વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 28મી એપ્રિલે દીલ્હીથી દેશના 91 એફ.એમ.ટ્રાન્સમીટરનું વર્ચ્યુલી લોકાર્પણ કરશે

ગોધરા,દેશના અંતરીયાળ ગામડાઓમાં પણ રેડીયોનું પ્રસારણ લોકો સારી રીતે સાંભળી શકે તે ઉમદા હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 28મી એપ્રિલે સવારના 11 વાગ્યે દેશના 91 એફ.એમ.ટ્રાન્સમીટર દીલ્હીથી ડીજીટલી વર્ચ્યુલ માઘ્યમથી લોકાર્પણ કરશે. ગુજરાતમાં કુલ 10 નવા એફ.એમ.ટ્રાન્સમીટર 28મી એપ્રિલથી શરૂ થશે. જેમાં દાહોદ, મોડાસા, થરાદ, રાધનપુર, કેવડીયા કોલોની, વલસાડ, સુરેન્દ્રનગર, ખંભાળીયા, દેવભૂમિ દ્વારકા અને વેરાવળનો સમાવેશ થાય છે. આ એફ.એમ.ટ્રાન્સમીટર 100 વોટની ક્ષમતાના હશે. આના કારણે આદિવાસી વિસ્તારના લોકોને સરળતાથી માહિતી અને મનોરંજન મળી રહેશે અને તેઓ દેશના મુખ્ય પ્રવાહથી અને ઘટનાઓથી માહિતગાર બની શકશે.વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિને કારણે હવે ગુજરાતના વધુ લોકો આકાશવાણી સાથે જોડાશે તેમ આકાશવાણી પ્રોગ્રામ હેડ ગોધરા મૌલિન મુનશીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.