કોંગ્રેસના નેતૃત્વમાં મોરચા સામે વાંધો નથી પરંતુ રાહુલ ગાંધી ’ચહેરા’ તરીકે સ્વીકાર્ય નહીં: બીઆરએસ

નવીદિલ્હી,લોક્સભા ચુંટણી પૂર્વે ભાજપ સામે લડવા માટે વિપક્ષી એક્તાની કવાયત શરૂ થઈ છે.ત્યારે મહત્વનાં રાજકીય પક્ષ એવા ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) દ્વારા કોંગ્રેસનાં વડપણ હેઠળના મોરચામાં સામેલ થવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પરંતુ વડાપ્રધાનપદનાં ચહેરા તરીકે રાહુલ ગાંધીનું નામ સ્વીકાર્ય ન હોવાની શરત મુકવામાં આવી છે.

૨૦૧૯ ની લોક્સભા ચૂંટણી વખતે કે.ચંદ્રશેખરરાવ (કેસીઆર) ના વડપણ હેઠળની પાર્ટી બીઆરએસ દ્વારા બીન-ભાજપ બીન-કોંગ્રેસ મોરચો,બનાવવા પહેલ કરવામાં આવી હતી.

હવે આ વખતે કોંગ્રેસનાં નેતૃત્વમાં વિપક્ષી મોરચા રચાય તો સામેલ થવાની તૈયારી બતાવી છે. પરંતુ રાહુલ ગાંધીનાં નેતૃત્વ સામે વાંધો લેવામાં આવ્યો છે. પાર્ટીનાં સુત્રોએ કહ્યું કે પ્રાદેશીક પક્ષો પર ભાજપ તથા કેન્દ્ર સરકારનાં દબાણને ધ્યાને રાખીને મોરચામાં જોડાવાની તૈયારી છે.કેન્દ્રીય એજન્સીઓ નેતાઓને નિશાન બનાવી રહી છે. વિરોધીઓનો અવાજ દબાવાય છે. આ સંજોગોમાં ભારતની દશા પાકિસ્તાન જેવી થઈ જશે એટલે તમામે સાથે રહેવુ પડશે.

કેસીઆરની પુત્રી અને પૂર્વ સાંસદ કે.કવિતા દિલ્હીનાં શરાબકાંડમાં એન્ફોર્સમેન્ટ તપાસનો સામનો કરી રહી છે. સુત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસની રાજકીય સ્તરે તાકાત ઘટી હોવાનું સ્વીકારીને પ્રાદેશીક પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવુ જોઈએ. કોંગ્રેસ મજબુત હોય ત્યાં વધુ હિસ્સો મેળવી શકે છે.પરંતુ પ્રાદેશીક પક્ષો મજબુત હોય તો કોંગ્રેસે માર્ગ કરી દેવો જોઈએ. આ સ્થિતિમાં જ વિપક્ષી એક્તા મજબુત અને અસરકારક બની શકશે. વડાપ્રધાનપદના ચહેરામાં નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી સ્વીકાર્ય બની શકે. રાહુલ ગાંધીનો વ્યક્તિગત કોઈ સિદ્ધિ કે રેકોર્ડ નથી.