બિહારથી રાંચી આવી રહેલી બસ ખીણમાં ખાબકી, પોલીસકર્મી સહિત ૩ના મોત

રાંચી,ઝારખંડના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચુતુપાલુ ખીણમાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બિહારથી ઝારખંડ વચ્ચે ચાલતી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસકર્મી રાંચીમાં તૈનાત હતો. રોડ અકસ્માતને કારણે રાંચી-રામગઢ લેન કલાકો સુધી જામ રહી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ગંભીર રીતે ઘાયલોને રિમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રામગઢની ચુતુપાલુ ખીણ દુર્ઘટનાને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. ત્યાંના વળાંક અને ઢોળાવ વાળા રસ્તા ખૂબ જ જોખમી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, મોટા ભાગના અકસ્માતો ઢોળાવને કારણે થાય છે. ત્યાં ૧૪ માર્ચે સિવાનથી રાંચી આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોમાંથી ૪ની હાલત ગંભીર છે. તેને વધુ સારી સારવાર માટે રિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.