અસદ-ગુલામના એન્કાઉન્ટર નો સીન રિક્રિએટ કરાયો,પોલીસ ઝાંસીના પારીછા પહોંચી; બંનેને ૧૩ એપ્રિલે ઠાર મારવામાં આવ્યા હતા

ઝાંસી,યુપીના ઝાંસીમાં અસદ-ગુલામનાં એન્કાઉન્ટરની તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસની ટીમ મંગળવારે ક્રાઈમ સીન રિક્રિએશન માટે ઝાંસીના પારીછા ડેમ પર પહોંચી હતી. ન્યાયિક પંચની ટીમ પણ સ્થળ પર હતી. ૧૩ એપ્રિલે યુપી એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામને ઠાર માર્યા હતા. બંને ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતા. બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.

૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા બાદ અસદ અને ગુલામ મોહમ્મદ ફરાર હતા. એસટીએફ સતત ૪૮ દિવસથી તેમને શોધી રહી હતી. મોબાઈલ લોકેશનના આધારે તેઓ ઝાંસીમાંથી મળી આવ્યા હતા. એક્ધાઉન્ટરના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલે લીડ કરી હતી. ૧૩ એપ્રિલે યુપી એસટીએફે ઝાંસીમાં એક એન્કાઉન્ટરમાં અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામને ઠાર માર્યા હતા.

એસટીએફના ડીઆઇજી અનંત દેવ તિવારીએ જણાવ્યું હતું કે ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય શૂટર અસદ અને ગુલામે પોલીસ ટીમને જોઈને બાઇક પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.એસટીએફની ટીમે પીછો કરતાં વિદેશી અત્યાધુનિક હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. જવાબી ફાયરિંગમાં તેની બાઇક પડી ગઈ હતી, જેના પર બંનેએ ભાગીને પોલીસને નિશાન બનાવી હતી. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. લગભગ ૩૦ મિનિટ સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં ૪૯ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં યુપી પોલીસે અત્યારસુધીમાં ૪ શૂટર્સનું એન્કાઉન્ટર કર્યું છે. અરબાઝનું પહેલું એન્કાઉન્ટર ૨૭ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં જ થયું હતું. અરબાઝ ક્રેટા કાર ચલાવી રહ્યો હતો, જેના દ્વારા બદમાશો ઉમેશ પાલના ઘરે પહોંચ્યા હતા. અસદ પણ એમાં હતો.

જ્યારે બીજું એન્કાઉન્ટર ૬ માર્ચે થયું હતું, જેમાં ઉમેશ પર પ્રથમ ફાયરિંગ કરનાર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માનનું મોત થયું હતું. આ ઉપરાંત અસદ અને ગુલામ પર ૧૩ એપ્રિલે એન્કાઉન્ટર થયું હતું, એટલે કે અત્યાર સુધીમાં આ મામલે ૪ એન્કાઉન્ટર થયાં છે. અતીકના પરિવારને મદદ કરનાર ૩ આરોપી અને નજીકના લોકોનાં ઘર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

માફિયા અતીક અહેમદ અને અશરફ મર્ડર કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. SITની પૂછપરછમાં હત્યારાઓ- લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યએ જણાવ્યું હતું કે તેમને કાનપુરના ગુનેગાર બાબરે તુર્કી બનાવટની જિગાના પિસ્તોલ અને અન્ય હથિયારો આપ્યા હતા. ત્રણેય શૂટરોએ ફરી એકની એક વાત કરી. તેમણે ખ્યાતિ મેળવવા માટે અતીક-અશરફની હત્યા કરી. આ હત્યા પાછળ કોઈનો હાથ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. બુધવારે ત્રણેય શૂટરોના ૪ દિવસના રિમાન્ડ મળ્યા બાદ ડેપ્યુટી કમિશનર ક્રાઈમ સતીશ ચંદ્રા, એસપી સત્યેન્દ્ર તિવારી અને ઈન્સ્પેક્ટર ઓમ પ્રકાશ પોલીસલાઈનમાં પહોંચ્યા હતા. અહીં આખો દિવસ પૂછપરછ ચાલી હતી.