ગુજરાતના ૨૪ તીર્થ સ્થાનોમાં સફાઈ અભિયાન:આજે રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતેથી મુખ્યમંત્રી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવશે

રાજકોટ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી તે અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આવતીકાલથી ૨૪ તીર્થસ્થાનોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ અભિયાનની શરૂઆત રાજકોટથી કરાવવાના છે. રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે અને આ પછી મહિનાના દર ત્રીજા રવિવારના રોજ ભાજપના આગેવાનો અને કાર્યર્ક્તા દ્વારા આ સફાઈ અભિયાનને આગળ વધારવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી ૨૨ એપ્રિલ એટલે કે શનિવારથી રાજ્યના ૨૪ તીર્થસ્થાનોને પ્રથમ તબક્કામાં સફાઇ કરવાની શરૂઆત કરવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ શહેરના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવશે જયારે ગૃહમંત્રી અમદાવાદ ભદ્રકાળી મંદિર ખાતેથી સફાઈ અભિયાનમાં જોડાવવાના છે. આમ અલગ અલગ મંત્રીઓ અલગ અલ. તીર્થસ્થાનેથી આ સફાઈ અભિયાનમાં જોડાવવાના છે.

તેમને જણાવ્યું હતું કે, ખાલી સફાઈ અભિયાન એ લક્ષ્ય નથી પરંતુ સફાઈ અભિયાન દરમિયાન નીકળતા ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવો, આસપાસની દુકાનોમાં વેપારીઓને કચરાપેટી આપી સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવશે. આ એક દિવસીય સફાઈ અભિયાન નથી પરંતુ આ કાયમી સફાઈ જળવાઈ રહે તે માટે રાજ્યની સરકાર, રાજ્યની સામાજિક સંસ્થાઓ અને જનતા સાથે મળી તીર્થસ્થાનો તેમજ આખા ગુજરાતને સ્વચ્છ રાખે તે માટેનું આયોજન છે. પ્રથમ તબક્કામાં ૨૪ તીર્થસ્થાનો ઉપરાંત પછીથી આગળના સમયમાં મહિનામાં દર ત્રીજા રવિવારના રોજ અલગ અલગ સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

જો કે મહત્વની વાત એ છે કે રાજકોટના તીર્થસ્થાનો ઉપર સફાઈ અભિયાન થાય એ સારી વાત છે પરંતુ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની નદીઓ પ્રદુષિત છે માટે આ નદીઓ સ્વચ્છ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે તે જરૂરી છે જે અંગે નિવેદન આપતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આ બાબતે સરકાર કામ કરી રહી છે અને હજુ પણ આગળ નદીને પ્રદુષિત ન થાય તેની કાળજી રાખી કામગીરી કરવામાં આવશે. કોઈ ઇન્ડસ્ટ્રીનું પ્રદુષિત પાણી નદીમાં આવશે તો તેની સામે કાર્યવાહી જરૂર કરવામાં આવશે.