
ખાર્તુમ,સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા ૧૮૦ લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે, જ્યારે ૧૮૦૦થી વધુ લોકો ઘાયલ થયાના પણ અહેવાલો મળી રહ્યા છે. એક એજન્સીએ જણાવ્યું હતું કે, રાજધાની ખાર્તુમની નજીકની અથડામણમાં મૃતકોની સંખ્યા વધુ થઈ શકે છે. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
બે જનરલોના દળો વચ્ચે ૨૦૨૧માં સત્તા કબજે માટે બળવો થયો હતો. ત્યારબાદ ફરી એકવાર શનિવારથી આ બળવો ઘાતક હિંસામાં બદલાયેલ જોવા મળે છે. અર્ધલશ્કરી દળો અને સેનાના વિલીનીકરણને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેના કારણે અમુક સમયે હિંસા થતી રહે છે. સુદાનના આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને તેમના ડેપ્યુટી, મોહમ્મદ હમદાન ડગલો, જેઓ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોસસને કમાન્ડ કરે છે.
ખાર્તુમની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. અનેક જિલ્લાઓમાં ગોળીબારની ઘટનાઓ બની છે. અહીં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. તેને જોતા અહીં શાળા, કોલેજ, સરકારી ઓફિસો તમામને બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને તેના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.