ફતેપુરા તાલુકાના ફતેગડીમાં એક અનોખા અંદાજનું મકાન બનાવતો શ્રમિક પરિવાર

  • મકાનના સ્લેબમાં લોખંડની જગ્યાએ વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • વાંસના લાકડા થી ભરેલ સ્લેબ ને 70 થી 80 વર્ષ સુધીની ગેરંટી કારીગર દ્વારા અપાય છે.

ફતેપુરા,21મી સદીમાં હરણફાળ ભરી રહેલા દેશમાં વિવિધ પ્રકારની શોધ અને પ્રતિશોધ કરવામાં આવી રહી છે. તેમજ મોંઘવારીએ માઝા મુકતા લોકો વૈકલ્પિક શોધ તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને મોટાભાગના લોકો રહેણીકરણી પ્રત્યે પણ જાગૃત થયા છે. ત્યારે બાપદાદાઓની પરંપરા મુજબના માટીના મકાનો છોડી પાકા મકાનોનું બાંધકામ કરતા હોવાનું જોવા મળે છે. પરંતુ મોંઘવારીના કારણે અનેક પરિવારો પોતાનું સ્વપ્ન સાકાર કરી શકતા નથી. ત્યારે ફતેપુરા તાલુકાના ફતેગડી ગામના શ્રમિક પરિવારે પોતાની સુઝબુઝથી ઓછા ખર્ચે પાકું મકાન બનાવી સપનુ સાકાર કર્યુ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેગડી ગામના ભાભોર ફળિયામાં રહેતા ગલાભાઈ સતીયાભાઈ ભાભોર ખેતીવાડી તથા છૂટક મજૂરી કામ ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચાલે છે. જેઓ થોડા સમય અગાઉ જૂનાગઢ જિલ્લાના ગોપાલગ્રામ ખાતે ખેત મજૂરીમાં ભાગીયા તરીકે કામગીરી કરવા પરિવાર સાથે ગયા હતા. જ્યાં કેટલાક લોકો પાકા મકાનોનું બાંધકામ કરે છે. તે પૈકી મોટાભાગના લોકોએ મકાનના સ્લેબમાં લોખંડની જગ્યાએ વાસના લાકડાનો ઉપયોગ કરી સ્લેબ ભરતા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે ગલાભાઈ ભાભોરે ત્યાંના કારીગરો પાસેથી પૂરેપૂરી માહિતી મેળવી આ પ્રમાણેનું મકાન બાંધવા માટે પ્રેરણા મળી હતી અને પોતાના વતનમાં આ પ્રમાણેનું મકાન બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેઓએ 21 બ્રાસના મકાનનું બાંધકામ શરૂ કર્યું હતું. જેમાં કોલમની કામગીરી લોખંડથી કરવામાં આવી હતી. જ્યારે મકાન સ્લેબ લેવલે આવતા લોખંડના બદલે વાસના લાકડા થી સ્લેબ ભરતા કારીગરનો સંપર્ક કર્યો હતો. ત્યારે 21 બ્રાસના મકાનમાં લોખંડ થી સ્લેબ ભરવામાં આવે તો 1800 કિલો લોખંડનો વપરાશ થાય જેનો અંદાજિત ખર્ચ રૂપિયા 1,22,400 જેટલા થાય. જ્યારે આજ મકાનમાં 15 ફૂટના 100 નંગ વાસનો વપરાશ થાય તો તેનો ભાડા સાથે ખર્ચ માત્ર 20,000 રૂપિયામાં થઈ શકે. જોકે આ સ્લેબ ભરવાના વાસ છત્તીસગઢ થી જુનાગઢ સાઈડ આવતા હોવાનું અને જ્યાં એક નંગ વાસની કિંમત 140 રૂપિયા છે. જ્યારે અહીંયા સુધી ભાડા સાથે રૂપિયા 200 ના ભાવે નંગ પડતા હોવાનું ગલાભાઈ ભાભોર દ્વારા જાણવા મળે છે.

:-બોક્સ:-

હું જુનાગઢ સાઈડમાં ખેતી કામમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરતો હતો. જ્યાં વાસના લાકડાથી સ્લેબ ભરતા મે જોયું હતું અને ત્યાંના કારીગરો પાસેથી મેં પૂરેપૂરી માહિતી મેળવી હતી. ત્યારબાદ આ પ્રમાણે મારૂં મકાન બનાવવાનું વિચાર્યું હતું અને વિચાર્યા પ્રમાણે મકાન બનાવી પણ દીધું છે. (ગલાભાઈ ભાભોર,ફતેગડી, સ્થાનિક)

:-બોક્સ:-
લોખંડ થી સ્લેબ ભરવામાં આવે તો 50 વર્ષ પછી લોખંડને કાટ લાગતા સ્લેબ નબળો પડે છે. પરંતુ વાંસથી ભરેલ સ્લેબને 70 થી 80 વર્ષ સુધી કાંઈ થતું નથી. તેમજ સ્લેબને કાંઈ પણ થાય તો આખા મકાનનો ખર્ચ આપવાની હું બહેધરી આપું છું. (મહેશભાઈ,વાસથી સ્લેબ ભરતા કારીગર,અમરેલી)