
- જિલ્લા કક્ષાના સરકારી પુસ્કાલયનું લુણાવાડા-મહીસાગર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
લુણાવાડા,
લુણાવાડા-મહિસાગર જિલ્લા ખાતે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા હેઠળનાં સરકારી પુસ્તકાલયનું આજરોજ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ લોકાર્પણ કમ પ્રદર્શન કાર્યક્રમમાં દરેક વિષય અને દરેક વર્ગના વાંચવાના માટેના પ્રારંભીક ત્રણ હજાર કરતા વધારે પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સહિત વાંચન રસિકોએ પુસ્તક પ્રદર્શનમાં હર્ષભેર ભાગ લીધો હતો.
ગ્રંથાલયમાં વિવિધ વિષયના 3561 પુસ્તકોથી ગ્રંથાલયની શરૂઆત કરવામાં આવી. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે, બાળકો માટે, સિનિયર સિટીઝન માટે અલગ અલગ પ્રકારના પુસ્તકો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 7થી વધુ દૈનિક પત્રો અને 35 થી વધુ સામાયિકો પણ રોજ વાંચન માટે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. વાંચન માટે અલગથી રીડિંગ રૂમ પણ બનાવવામાં આવેલ છે. જે અન્ય જગ્યા કરતા અલગ હોવાથી વાંચકોને વાંચનમાં કોઈ ખલેલ ન પહોંચે તથા એકાગ્રતા જાળવી શકાય. આ સાથે પાણી, ટોયલેટ તથા અન્ય સામાન્ય જરૂરિયાતો પણ મળી રહે તેની સંપુર્ણ કાળજી રાખવામાં આવી છે.
આજના આ પ્રસંગે ગ્રંથાલય નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર ડો. પંકજ ગોસ્વામી, રાજ્ય ગ્રંથપાલ જે.કે.ચૌધરી, ગુજરાત પુસ્તકાલય મંડળના ઉપપ્રમુખ હરીભાઈ પટેલ, જિલ્લા ગ્રંથપાલ ભાવનાબેન તથા અન્ય અધિકારીગણ અને જિલ્લા માંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિર રહ્યા હતાં.