૧૯૧૨માં અસ્તિત્વમાં આવેલા બિહારની સ્થાપનાને ૧૧૧ વર્ષ પૂરાં થયા, વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

પટણા,

બિહાર રાજ્યની સ્થાપનાને આજે ૧૧૧ વર્ષ પૂરાં થઇ ગયા છે. ૧૯૧૨માં બંગાળ પ્રાંતથી અલગ થઈને બિહાર એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. બિહાર દિવસને રાજ્યના નાગરિકો ધામધૂમથી મનાવે છે. આ અવસરે આજે વડાપ્રધાન મોદીએ પણ બિહારવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરી કે રાજ્યના તમામ ભાઈ-બહેનોને ખુબ ખુબ અભિનંદન! આપણા સમૃદ્ધ ઈતિહાસ અને જીવંત સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ બિહારના લોકો દેશના વિકાસ માટે દરેક ક્ષેત્રમાં અતુલનીય યોગદાન આપી રહ્યા છે. તેમની ધગશ અને કઠોર પરિશ્રમથી તેમણે એક વિશેષ ઓળખ બનાવી છે.

બિહાર દિવસના આયોજન ૩ દિવસ ચાલશે જેમાં વિવિધ કાર્યક્રમની સાથે અને સ્પર્ધાઓનું આયોજન કરાશે. આ અવસરે રાજ્યના લોકો બિહારના પ્રસિદ્ધ વ્યંજનો આરોગે છે. આ વર્ષે બિહાર દિવસ મનાવવા માટે ’યુવા શક્તિ બિહારની પ્રગતિ’ સ્લોગન પણ નક્કી કરાયું છે. ગત વર્ષે ’જળ જીવન હરિયાળી બિહાર દિવસ’ થીમ અપનાવાઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ દિવસ ઉજવાની શરૂઆત કરી હતી. ૨૦૧૦માં પહેલીવાર બિહાર દિવસની ઉજવણી કરાઈ હતી.