નવા વાયરસનું સંકટ : મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે એચ-૩એન-૨ વાયરસ, મેડિકલના વિદ્યાર્થી સહિત ૨ના મોત

મુંબઇ,

દેશમાં એક નવા વાયરસે દસ્તક આપી છે. એચ-૩એન-૨ વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં એચ-૩એન-૨ વાયરસના કારણે બે લોકોના મોત થયા છે. જેમાંથી એક ૭૪ વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે કોરોના તેમજ એચ-૩એન-૨ વાયરસ વાયરસથી સંક્રમિત મેડિકલના વિદ્યાર્થીનુ મોત થયુ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે આ જાણકારી આપી હતી.

આ સાથે મંત્રી તાનાજીએ જણાવ્યું હતુ કે રાજ્યમાં એચ-૩એન-૨ વાયરસના ૩૬૧ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. તો માહિતી મુજબ સરકાર દ્વારા આગામી બે દિવસમાં આ સંક્રમણ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.તો સાથે જ મંત્રીએ લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સલાહ આપવામાં આવી છે.

નવા સંક્રમણ વિશે માહિતી આપતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે, વાયરસને કારણે બે લોકોનાં મોત થયાં છે. આમાં એક ૭૪ વર્ષીય વ્યક્તિ છે. બીજો અહેમદનગરનો એમબીબીએસના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. તેને કોરોનાની સાથે સાથે એચ૧એન૧ અને એચ-૩એન-૨નો ચેપ લાગ્યો હતો.

ઈન્લુએન્ઝા બે પ્રકારના વાયરસ એચ૧એન૧ અને એચ-૩એન-૨થી થાય છે. આગામી બે દિવસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે વિગતવાર ચર્ચા કર્યા બાદ રાજ્યના તમામ લોકોને માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. આ વાયરસનું સંક્રમણ મુંબઈ, પુણે, નાગપુર, ઔરંગાબાદ, થાણે, સાંગલી અને કોલ્હાપુરમાં જોવા મળ્યુ છે. આપને જણાવી દઈએ કે એચ૧એન૨ ના ૩૦૩ અને H3N2 ના ૫૮ દર્દીઓ છે.

તો આ તરફ વધતા સંક્રમણને પગલે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યુ છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે તમામ જિલ્લા અને ગ્રામીણ આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઓક્સિજન સાથે તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે દર ત્રણ કલાકે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.