ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ટ્વિટ કરવી ભારે પડી, સોશિયલ મીડિયામાં બરાબરના ટ્રોલ થયા

ગાંધીનગર,

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક ટ્વિટ કરવી ભારે પડી ગઈ છે. તેમણે ટ્વિટર પર એક સુવિચાર ટ્વિટ કર્યો હતો. તેમની ટ્વિટ બાદ લોકોએ તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.આજે સવારે ટ્વિટર પર ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ એક સુવિચાર ટ્વિટ કર્યો હતો. તેમણે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ’મનુષ્યના મનમાં બે ઘોડા દોડે છે એક-પોઝિટિવ અને બીજો નેગેટિવ.. જેને વધારે ખોરાક આપીએ એ જીતે છે.

તેમના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયામાં લોકોએ બરાબર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.ટ્વિટર યુઝર્સે પીએસઆઇ ભરતીમાં થયેલ કૌભાંડ તેમને યાદ અપાવ્યું હતું. યુઝર્સે લખ્યું હતું કે, ગુજરાતમાં ભરતી પણ આ જ રીતે થઈ રહી છે, એક પેપરફોડીને, અથવા બીજી ૪૦ લાખ આપીને. યુઝર્સે સંઘવીને એવી પણ સલાહ આપી હતી કે આવા ટ્વિટ કરવાની જગ્યાએ તમે સરકારી અધિકારીઓ તથા ભ્રષ્ટાચારના ઘોડાઓ પર લગામ લગાવો તો બહુ છે.

એક યુઝરે લખ્યું છે, ’દેશમાં ડુંગળીના ભાવ બે રીતે નક્કી થાય છે, જ્યારે નાણામંત્રી ન ખાતા હોય ત્યારે ૧ રૂપિયા કિલો મળે, જ્યારે નાણામંત્રી ખાતા હોય ત્યારે ૧૦૦ રૂપિયા કિલો મળે.અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, હાટકેશ્ર્વર બ્રિજ ક્યારે ચાલુ થશે ભાઈ તમારા લોકોના કામ જ એવા છે કે અમારા નેગેટિવ ઘોડા દોડે છે. એક યુઝરે લખ્યું છે કે, ગુજરાતમાં બે પ્રકારના પરીક્ષાર્થી છે. એક સેટિંગવાળા અને બીજા મહેનતવાળા. જેનું વધારે સેટિંગ એણે નોકરી કરી છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ત્રણ હજારથી વધુ કિલોમીટરની ભારત જોડો પદ યાત્રા પૂર્ણ કરી છે. તેમણે ગત ૨૯ જાન્યુઆરીએ શ્રીનગરના લાલચોકમાં ભારતનો ઝંડો લહેરાવીને પદયાત્રા પૂર્ણ કરી હતી. ત્યાર બાદ તેઓ સંસદ સત્રમાં હાજર રહ્યાં હતાં અને સરકાર પર અદાણીના મુદ્દે આકરા પ્રહારો કર્યાં હતાં. ત્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આડક્તરી રીતે રાહુલ ગાંધી પર ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, હવે એક વાત ’કન્ફોર્મ’ છે.જો તમે ૩૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ.! ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું.