
મુંબઈ,
મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે પ્રતિ નિષ્ઠા ધરાવતા તમામ ધારાસભ્યોએ પાર્ટી દ્વારા જારી વ્હિપનું પાલન કરવું પડશે. નહીંતર તેમણે અયોગ્યતાનો સામનો કરવો પડશે. તેમાં શિવસેનાના સંસ્થાપક દિવંગત બાલ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરે પણ સામેલ છે.
શિન્દે જૂથના ૨૭ ફેબ્રુઆરીએ રાજ્ય વિધાનમંડળના બજેટ સત્ર પહેલા પાર્ટીને એક વ્હિપ જારી કરશે. શિવસેનાના મુખ્ય સચેતક ભરત ગોગાવલે કહ્યું કે થોડા સમય પહેલા તે અમારી પાછળ હતા, હવે અમે તેમની પાછળ જઈશું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ગત શુક્રવારે શિવસેનાનું નામ અને સિમ્બોલ એકનાથ શિંદે જૂથને સોંપી દીધા છે.
ભરત ગોગાવલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કરનારા ધારાસભ્યોએ નિયમ અનુસાર વ્હિપનું પાલન કરવું પડશે. તેમણે સિમ્બોલ અને પાર્ટીનું નામ ગુમાવી દીધું છે. અમે ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થનાર રાજ્ય વિધાનમંડળના બજેટ સત્ર પહેલા એક વ્હિપ જારી કરીશું. જો તે નહીં માને તો ધારાસભ્ય તરીકે તેમણે અયોગ્યતા માટે જવાબ આપવો પડશે. હાલમાં ઉદ્ધવ જૂથમાં ૧૬ ધારાસભ્યો છે. ટેક્નિકલ રીતે તે શિવસેનાના ધારાસભ્યો છે. તેમણે પણ હવે શિંદે સરકારના નેતૃત્વ હેઠળની શિવસેનાના આદેશો માનવા પડશે.