રાજકોટમાં પ્રેમીએ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું, પ્રેમિકા પર હત્યાનો આરોપ મૂક્યો

  • થેલામાંથી મળેલા પેટ્રોલના શીશાએ રહસ્ય ખોલ્યું.

રાજકોટ,

રાજકોટના મોરબી રોડ પર રહેતા કડિયા રાજેશ રામાણીને તેની પ્રેમિકાએ ૬ જાન્યુઆરીએ વાંકાનેર બાઉન્ડરી પાસે બોલાવી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન રાજેશનું મોત નીપજતાં વાંકાનેર પોલીસની તપાસમાં રાજેશે જાતે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. રાજેશના થેલામાંથી મળેલા પેટ્રોલના શીશાએ આખું રહસ્ય ખોલી નાખતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.

રાજકોટના મોરબી રોડ પર સ્વસ્તિક વિલામાં રહેતા અને કડિયાકામ કરતા રાજેશ પરસોતમભાઈ રામાણી (ઉં.વ.૪૫)ને ગત ૬ જાન્યુઆરીએ સળગેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમણે એવી કબૂલાત આપી હતી કે બે માસથી સાથે રહેતી દાહોદ પંથકની ગીતા નામની મહિલા ઘરમાંથી ચોરી કરીને જતી રહી હતી. બનાવના દિવસે આ મહિલાએ મને વાંકાનેર બાઉન્ડરી પાસે બોલાવતાં ત્યાં જતાં મેં તેને ચોરી અંગે પૂછતાં તેણે ઝઘડો કરી મારા પર પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. જોકે રાજેશનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

આક્ષેપ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સોનારા, રાઈટર વનરાજસિંહે તપાસ કરતાં બનાવ હત્યાનો નહીં, પરંતુ આપઘાતનો હોવાનું જાણવા મળ્યું હતું, કારણ કે મૃતકના થેલામાંથી પેટ્રોલનો શીશો મળી આવતાં સારવાર દરમિયાન પૂછપરછ કરતાં પોતે જ ૬૦ રૂપિયાનું પેટ્રોલ ખરીદી જાતે શરીર પર પેટ્રોલ છાંટી કાંડી ચાપી લીધા બાદ ગીતાએ સળગાવ્યો હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હોવાની કબૂલાત આપી હતી, આથી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. બાદમાં રાજેશનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મોરબી રોડ પર આવેલા સ્વસ્તિક વિલામાં રહેતા રાજેશ રામાણીને ૬ જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેની પરિચિત દાહોદની ગીતાએ મોબાઈલમાં કોલ કરી વાંકાનેર બાઉન્ડરી પાસેની ઓનેસ્ટ પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ રાજેશ ગીતાને મળવા વાંકાનેર બાઉન્ડરી પાસે ગયો હતો. ગીતા અને રાજેશ આવાવરૂ જગ્યાએ બેઠાં હતાં. ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ગીતાએ તેની પાસે રહેલા પેટ્રોલ ભરેલા શીશામાંથી પેટ્રોલ રાજેશ પર છાંટી દીવાસળી ચાંપી જીવતો સળગાવી દીધો હતો અને ગીતા ત્યાંથી નાસી ગઈ હોવાની કબૂલાત સારવારમાં રહેલા રાજેશે આપી હતી.

રાજેશ સારવારમાં હતો ત્યારે તેણે પોલીસને જણાવ્યું હતું કે દાહોદની ગીતા બે વર્ષ પૂર્વે પરિચયમાં આવી હતી અને બન્ને વચ્ચે મોબાઈલ પર વાતચીત પણ થતી હતી. ગીતા સાથે ૧૦ દિવસ સાથે રહ્યા બાદ તે ઘરેથી દાગીના અને રોકડ લઈ જતી રહી હતી. બાદમાં મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો તેમજ ૬ જાન્યુઆરીએ અચાનક ફોન કરી મળવા બોલાવ્યો હતો.

રાજેશે વધુમાં જણાવ્યું હતું કે પોતે કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમજ એક ભાઈ, એક બહેનમાં મોટો છે. તેમને પિતાએ ઘરમાંથી કાઢી મૂક્તાં મોરબી રોડ પર આવેલી સ્વસ્તિક વિલા સોસાયટીમાં રહે છે તેમજ તેની પત્નીનું છ મહિના પૂર્વે અવસાન થતાં પોતે એકલો રહી કડિયાકામ કરે છે. રાજેશે પોલીસને જણાવ્યું હતું કે ગીતા દાહોદની વતની છે અને તેની સાથે કડિયાકામ કરતી હતી. ત્યારે બે વર્ષ પૂર્વે પરિચય થયો હતો. ત્યાર બાદ બન્ને વારંવાર મળતાં હતાં. ૬ જાન્યુઆરીએ રાજેશે ફોનમાં કહ્યું હતું કે, તું આધારકાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ સાથે લઈ આવજે, આપણે સાથે રહીશું. બાદમાં મળવા જતાં આ બનાવ બન્યો હતો.

રાજેશ ૬ જાન્યઆરીએ ઘટનાસ્થળે કણસતી હાલતમાં પડ્યો હોઈ, તેને કોઈએ ૧૦૮ મારફત રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરતાં એન્ટ્રી નોંધી ત્યાંથી વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજેશનું નિવેદન લેવા રાજકોટની સરકારી હોસ્પિટલે પહોંચી ગયો હતો.