
નાગપુર,
નાગપુરમાં ચાલી રહેલા રાજ્યના શિયાળુ અધિવેશનમાં ગઈ કાલે પહેલી વખત શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા. તેમણે કર્ણાટક સાથે ચાલી રહેલા સીમાવિવાદ સહિત સરકારને અનેક પ્રશ્ર્ને નિશાના પર લઈને જોરદાર ટીકા કરતું ભાષણ કર્યું હતું. જવાબમાં એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેને ટોણા મારવાની આદત પડી ગઈ છે એટલે તેમને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી.
નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં પહેલી વખત હાજર રહેલા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પેનડ્રાઇવ લઈને પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ‘વિરોધ પક્ષમાં હોઈએ ત્યારે પેનડ્રાઇવ લાવવું પડે. રાજ્ય સરકાર કર્ણાટક સીમાવિવાદ બાબતે ચૂપ કેમ છે અને સત્ર ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અચાનક દિલ્હી કેમ જતા રહ્યા?’
જવાબમાં એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું કે ‘ઉદ્ધવ ઠાકરેને ટોણા મારવાની આદત પડી ગઈ છે એટલે તેમણે ટોણા માર્યા હશે. તેમને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અત્યારે હાજર નથી એટલે ઠરાવ એકાદ-બે દિવસમાં રજૂ કરવામાં આવશે.’