વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા:ખંભાળિયાના વતની મહાજન પરિવારના પુત્રની કેન્યામાં હત્યા

કેન્યા,

ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા એક મહાજન પરિવારના યુવાન પુત્રની કેન્યા ખાતે ગોળીબારથી હત્યા થઈ છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ આફ્રિકાના કેન્યા ખાતે સ્થાયી થયેલા ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતન ગઈકાલે સોમવારે તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા. ત્યારે મોટરસાયકલ પર બંદૂક સાથે ધસી આવેલા એક શખ્સે વેપારી પુત્ર કેતન ઉપર ગોળીઓ છોડી હતી. આ ફાયરિંગમાં યુવાનને ગોળી લાગતા તે પટકાઈ પડ્યો હતો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ગોળીબારની ઘટનાથી સ્થાનિક લોકો એકત્ર થઈ જતા બંદૂકધારી શખ્સ બાઈક પર બેસી અને નાસી છૂટ્યો હતો. આ બનાવ બનતા તુરંત જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. મૃતક કેતનને જયાન નામનો એક બાળક છે. હત્યાના આ બનાવે સમગ્ર મહાજન પરિવારમાં કરુણતા સાથે ભારે શોકની લાગણી પ્રસરાવી છે.