ભારત-પાકિસ્તાન મતભેદ ઉકેલવા માગે તો અમે મદદ માટે તૈયાર : અમેરિકા

વોશિગ્ટન,

અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રચનાત્મક વાતચીતની માગ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની વાતચીત તેમના લોકોના હિત માટે હશે. અમારો બંને દેશો સાથે ભાગીદારીનો સંબંધ છે. અમે બંને દેશો વચ્ચે શબ્દયુદ્ધ નથી ઈચ્છતા.

નેડ પ્રાઈસે કહ્યું હતું કે અમારી ભારત સાથે વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે. તેમણે પાકિસ્તાન સાથેની તેમની ઉંડી ભાગીદારી વિશે પણ તેમણે કહ્યું હતું. સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં નેડ પ્રાઈસે કહ્યું હતું કે બંને દેશો સાથે અમારી ભાગીદારી છે. અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે રચનાત્મક વાતચીત ઈચ્છીએ છીએ. તેમણે એ પણ કહ્યું હતું કે બંને દેશો અમેરિકા માટે અનિવાર્ય છે. અમે સાથે મળીને ઘણુ બધુ કરી શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે, ભારતે આતંકવાદના સમર્થન અને પ્રયોજનના વિરોધમાં પાકિસ્તાન સાથે લાંબા સમયથી વાત કરવાનું બંધ કરી દીધું છે. વર્ષ ૨૦૧૪માં મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ સ્પષ્ટપણે કહી દીધું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત નહીં થાય. એટલું જ નહીં પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધો પણ તૂટી ગયા છે.

નેડ પ્રાઈસે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ચોક્કસપણે મતભેદો છે અને તેને ઉકેલવાની જરૂર છે. અમેરિકા આ મતભેદોને ઉકેલવા માટે મદદ કરવા તૈયાર છે. એક અન્ય પ્રશ્ર્નના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું હતું કે વિશ્ર્વભરના દેશોએ પીએમ નરેન્દ્ર મોદીની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપેલી સલાહ ’આ યુદ્ધનો યુગ નથી’ ને આવકારી હતી.

અમેરિકન પ્રવક્તાએ કહ્યું હતું કે જી-૨૦ સંમેલનામાં પણ આ વાતની પ્રશંસા કરવામાં આવી હતી. અમેરિકા ચોક્કસપણે તેનું સ્વાગત કરે છે. તે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતનો રશિયા સાથે એવો સંબંધ છે જેવો અમેરિકા સાથે રશિયાનો નથી. આગામી જી-૨૦ સમિટમાં સંદર્ભમાં યુએસ ભારત સાથે ગાઢ સંપર્કમાં રહેશે અને આ સહયોગ વધારવાની તક હશે.