
- 2 વર્ષથી બંધ સી-પ્લેન ફરી ઉડાવવાની કવાયત શરૂ
- નવી સરકારના ગઠન બાદ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી
- પ્રોજેક્ટ માટે સ્ટેટ એવિએશનના બજેટમાંથી નહીં કરવામાં આવે ખર્ચ
અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ પરત ફર્યું નથી. ત્યારે 2 વર્ષથી બંધ સી-પ્લેન ફરી ઉડાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પહેલીવાર સી પ્લેનના સમગ્ર પ્રોજેક્ટ પર બેંકો પાસેથી ઓછા વ્યાજે લોન લેવાનું નક્કી કર્યું છે.
સી-પ્લેન ઉડાવવા તૈયારી શરૂ
નવી સરકારના ગઠન બાદ રાજ્ય સરકારે અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા ફરી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે ન્યૂ બ્રાન્ડ સી પ્લેન ખરીદવામાં રસ લીધો છે. આ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MoU થયા છે, જેમાં સી પ્લેનથી લાવવાની માંડીને સમગ્ર પ્રોજેક્ટ રન કરવા કેટલો ખર્ચ થશે તેની પ્રપોઝલ પણ તૈયાર કરાઈ છે. સાથે આ માટે ખર્ચ સ્ટેટ એવિએશનના બજેટમાંથી નહીં કરાય. આ માટે બેંક પાસેથી ઓછા વ્યાજે પૈસા લેવાનું નક્કી કરાયું છે. જોકે, કેટલા રૂપિયા લેવાશે તે હજુ નક્કી કરાયું નથી.
રાજ્ય સરકાર કરી શકે સંચાલન
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રા. કંપની લિ. દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, કોઈ એજન્સીએ રસ ન દાખવતા રાજ્ય સરકારે સંચાલન કરવાનું નક્કી કર્યું છે.