વડોદરામાં તથ્યવાળી, નશામાં ધૂત કારચાલકે 8ને ઉડાવ્યા :એકનું ઘટનાસ્થળે જ મોત, બે બાળક સહિત 7ને ઇજા અને બે ગંભીર

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. જેમાથી 2ની હાલત ગંભીર છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા હેમાલીબેન પટેલના પતિ પૂરવ પટેલ (ઉં.વ.36)ની હાલત પણ ગંભીર છે. તેમની ન્યૂ સર્જીકલ વિભાગમાં સારવાર ચાલી રહી છે. હાલમાં તેમને પેટના ભાગે ફેફસાં અને માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચોરસિયા (વારાણસી, ઉત્તર પ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. કારચાલક રક્ષિત ચોરસિયા એમ.એસ.યુનિવર્સિમાં કાયદાનો જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

કારનું ડિયોન ટેકનોલોજી પ્રા.લિ.ના નામે રજિસ્ટ્રેશન ફોક્સવેગન વર્ચસ કાર(GJ06RA 6879) આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે RTOમાં આ કારનું ડિયોન ટેકનોલોજી પ્રા.લિ.ના નામે રજિસ્ટ્રેશન છે. આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ શેનો નશો કર્યો હતો તે જાણવા માટે બન્ને આરોપીના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં બન્નેએ ડ્રગ્સ લીધું હોવાનું સામે આવ્યું હતું.

આરોપી કાર ચાલક ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે, એ ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ…. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે.

હેમાલીબહેન કલર લેવા નીકળ્યા ને મોત મળ્યું, અંતિમ હોળી બની રહી મૃતક હેમાલીબેન પટેલ ધુળેટી માટે કલર લેવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષનો જૈનિલ, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની રેન્સીને સારવાર આપવામાં આવી રહી છે. સાસંદ ડો. હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલમાં પહોંચી મૃતકનાં પરિવારજનોને સાંત્વના આપી હતી. તે સાથે ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે તબીબોને સૂચના આપી હતી.